ગુજરાતમાં જળસંચય અભિયાન અંતર્ગત મહેસાણાવિજાપુર તાલુકાના લાડોલ ગામે 11 પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજારો બોરીબંધ અને ચેકડેમના નિર્માણ દ્વારા ભૂતળ જળ ઉપર આવે તેવા પ્રયત્નો થયા છે. લોકભાગીદારી દ્વારા “પાણી લાવે સમૃદ્ધિ તાણી” ને સાચા અર્થમાં ગુજરાતે ચરિતાર્થ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રાજ્ય વ્યાપી વોટરગ્રીડનું નિર્માણ થયું અને તેમના ભગીરથ પ્રયાસોના પરિણામે ગુજરાત રાજ્ય જે વોટર ડેફિસીટ રાજ્ય ગણાતું હતું તે વોટર સરપ્લસ રાજ્ય બન્યું.
આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે સાફલ્ય ગ્રુપના યોગેશ પટેલ દ્વારા લાડોલ ગામ ખાતે 11 પરકોલેટીંગ વેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે આવનાર દિવસોમાં આ વિસ્તામાં જળ સ્તર ઉંચા લાવવામાં મદદરૂપ થશે. જનભાગીદારીના સંકલ્પનો સમાજમાંથી લોકો પાણીને પારસમણી સમજે અને પાણી બચાવવાના અભિયનમાં સહભાગી બને તે ઉદ્દેશને ચરિતાર્થ કરવા અનુંરોધ કરી સાફલ્ય ગ્રુપના યોગેશ પટેલને જળક્રાંતિના યજ્ઞમાં તેમના યોગદાન માટે અભિનંદન આપ્યા હતા.
આ અવસરે જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમારે જણાવ્યું કે,આ 11 પરકોલેટીંગ વેલથી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.આ વરસાદી પાણીના સંગ્રહ થકી પાણીના જળ સ્તર ઊંચા આવશે.ગુજરાત સરકારે પાણીની અછત દૂર કરવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જેના થકી આજે ગુજરાતમાં પાણી સબંધિત સમસ્યાઓ દૂર થઇ છે. રાજ્ય સરકારના ભૂતળ જળસ્તર ઉંચા લાવવાના અભિયાનને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ વિશેષ છે. પરકોલેટીંગ વેલએ વરસાદી પાણીને જમીનમાં સારી રીતે સંગ્રહ કરી અને ભૂગર્ભ જળ ઉંચા લાવવાની પદ્ધતિ છે.
સાંસદ શારદાબહેન પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં અટલ ભૂજલ યોજના રાજ્યના 6 જિલ્લાઓ, 36 તાલુકાઓ અને 1873 ગ્રામ પંચાયતોમાં કાર્યરત છે. અટલ ભૂજલના ઇન્સેન્ટીવ ફંડમાંથી વૈજ્ઞાનિક પધ્ધતિથી 2900 રિચાર્જ ટયુબવેલનું રૂપિયા 170 કરોડના ખર્ચે આયોજન કરેલ છે. જેમાં મહેસાણા જિલ્લામાં 18 કરોડ 45 લાખના ખર્ચે 93 રિચાર્જ ટયુબવેલનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષમ સિંચાઇને વેગ આપવા માટે ખાસ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 58,000 હેક્ટર વિસ્તારમાં સુક્ષમ સિંચાઈ માટે રૂપિયા 586 કરોડની સહાય પ્રદાન કરવામાં આવી છે.
વર્ષ 2018 થી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સ્વરૂપે 74,000 થી વધુ કામો હાથ ધરાયા છે.આ કામોના પરિણામે જળસંગ્રહ શક્તિમાં 86 હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 178 લાખથી વધુ માનવદિન રોજગારી મળી છે. લાડોલ ખાતે પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યસભના સાંસદ જુગલજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ,11 પરકોલેટીંગ વેલના દાતા યોગેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિજાપુર ,લાડોલ ગામ સરપંચ ,સભ્યો સહિત લાડોલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:31 pm, Sun, 30 April 23