ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ કરશે મંથન, 182 વિધાનસભા બેઠકના કોંગી ઉમેદવારોની ઝોન મુજબ યોજાશે બેઠક
182 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની ઝોન મુજબ બેઠકો મળશે. હારના કારણો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીમાં કોંગ્રસ ક્યાં નબળું પડ્યું એના તારણો કાઢવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ આજે કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાશે. માહિતી મુજબ સાંજે 4 કલાકે કોંગ્રેસના 17 ધારાસભ્યોની બેઠક મળશે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પ્રમુખની બેઠક યોજાશે. 182 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની ઝોન મુજબ બેઠકો મળશે. હારના કારણો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીમાં કોંગ્રસ ક્યાં નબળું પડ્યું એના તારણો કાઢવામાં આવશે. સમીક્ષા બેઠકમાં પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષો હાજર રહેશે.
આ વખતે કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી. 2022માં ગોધરા સમયે પણ કોંગ્રેસે 50થી વધુ બેઠકો જાળવી રાખી હતી. આદિવાસી, લઘુમતિ તથા દલીત વિસ્તારો તથા અન્ય જાતિ અને શહેરોમાં પણ હંમેશાથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે. અને એટલે દર વખતે એવરેજ 40 ટકા આસપાસ કોંગ્રેસના પક્ષમાં મતદાન થતુ હતુ. જોકે તેમાં પણ 2017માં તો કોંગ્રેસે સૌથી વધુ 77 સીટો જીતી હતી. એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી.અને જેના કારણે કોંગ્રેસના વળતા પાણી થયા.
કોંગ્રેસ 77 માંથી 17 બેઠક પર આવીને અટક્યું !
એક બાજુ ભાજપ એગ્રેસિવ રીતે જંગ લડી રહી હતી ત્યારે કોંગ્રેસમાં એટલો ઉત્સાહ નહોતો જોવા મળતો. ગામે ગામ જતા ચોક્કસ હતા પરંતુ તેનાથી કોઈ વેવ ઉભી ના થઈ. પાર્ટીને થોડા સમયમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટ્રેટેજી કામ નથી કરી રહી. પરંતુ કોંગ્રેસ સ્ટ્રેટેજી બદલવાથી લઈને એગ્રેસિવ થવા સુધીના મામલામાં સતત નિષ્ક્રિય જોવા મળી હતી. ઘણા કારણોમાંથી આ પણ એક ઉડીને આંખે વળગે તેવુ કારણ છે.