
Modi@9 Mumbai: હવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી કાર રસ્તાઓ પર ઇથેનોલથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ઇથેનોલથી ચાલતી કાર બજારમાં આવશે. ભાજપે આજે મુંબઈમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. Modi@9 અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ આ માહિતી આપી હતી.
આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર પણ હાજર હતા. આ કાર્યક્રમમાં આ તમામ નેતાઓ કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી રહ્યા હતા. આ સંદર્ભમાં નીતિન ગડકરીએ છેલ્લા 9 વર્ષમાં ભારતે કેટલી પ્રગતિ કરી છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે ઓગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી કાર પણ બજારમાં આવી રહી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે ઓગસ્ટ મહિનાથી માત્ર કાર જ નહીં પરંતુ ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ વાહનો લોન્ચ કરી રહી છે. આ વાહનો 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલશે અને ઇથેનોલ ઇંધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે અને પ્રદૂષણ પણ નહીં થાય.
કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે ભારતના 37 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. પીએમ કિસાન યોજના દ્વારા દરેક ગામના ખેડૂતો સુધી લાભ પહોંચાડવામાં આવ્યો. 9.6 કરોડ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. જન ધન યોજના હેઠળ 49 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણથી સાડા ત્રણ કરોડ લોકોને ઘર આપવામાં આવ્યા. આ યોજનાઓ તમામ ગરીબ નાગરિકોને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો : Opposition Meeting: રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, કહ્યુ- કોંગ્રેસ જોડાવાનું તો BJP દેશને તોડવાનું કામ કરી રહી છે
નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં પચાસ લાખ કરોડ રૂપિયાના કામો પૂરા થયા, એક પણ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ નથી. કામમાં પારદર્શિતા જાળવવી અને ડિજીટલાઇઝેશનના કામને વેગ આપ્યો. ગડકરીએ કહ્યું કે સમાજવાદી વિચારોવાળી પાર્ટી હવે રહી નથી. સામ્યવાદી પક્ષો ટકી શક્યા નહીં.