મધ્યપૂર્વમાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતમાં LPG પુરવઠા અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે લીધેલા નિર્ણયથી હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં આવ્યો છે.
નવા નિયમ મુજબ હવે કોઈ ગ્રાહક એક LPG સિલિન્ડર બુક કર્યા પછી તરત જ બીજો સિલિન્ડર બુક કરી શકશે નહીં. બીજી બુકિંગ કરવા માટે ઓછામાં ઓછા 25 દિવસનો સમય પસાર થવો જરૂરી રહેશે. ઉપરાંત રિફિલ સિલિન્ડર માટેનું લઘુત્તમ વેઇટિંગ પિરિયડ પણ વધારીને 4 દિવસ કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેસનો અનાવશ્યક જથ્થો એકઠો થતો અટકાવવાનો છે.
મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન પર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવા માટે પણ સૂચના આપી છે, જેથી દેશમાં ગેસની ઉપલબ્ધતા જાળવી શકાય.
કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત
આ વચ્ચે કેટલાક મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી છે. બેંગલુરુમાં તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા ઘટતા હોટલ અને રેસ્ટોરન્ટોએ સેવાઓ તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મેટ્રો શહેરની હોટલ-રેસ્ટોરન્ટ પર સંકટ
બેંગલુરુ હોટેલ્સ એસોસિએશનનું કહેવું છે કે વાણિજ્યિક ઉપયોગ માટે મળતા ગેસ સિલિન્ડરની સપ્લાય અચાનક અટકી જતા ખાદ્ય ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હોટલોમાં ભોજન પર નિર્ભર રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને હોસ્પિટલમાં કામ કરતા લોકો માટે પણ આ પરિસ્થિતિ મુશ્કેલી ઉભી કરી શકે છે.
ચેન્નાઈમાં પણ હોટેલ એસોસિએશને સરકારને પત્ર લખીને ગેસ સપ્લાય અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો ગેસ પુરવઠો સમયસર ઉપલબ્ધ નહીં થાય તો પ્રવાસન અને સ્થાનિક ખાદ્ય ઉદ્યોગને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજસ્થાનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર મર્યાદા મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત કેટલાક અન્ય રાજ્યોમાં પણ ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સપ્લાય મર્યાદિત કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કેન્દ્ર સરકાર ઘરેલું LPG પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે. સરકારનું કહેવું છે કે સામાન્ય નાગરિકોના ઘરમાં રસોઈ માટે ગેસ ઉપલબ્ધ રહે તે સૌથી મહત્વનું છે. તેથી ઘરેલું ગ્રાહકોને પૂરતો ગેસ મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પરિસ્થિતિ પર સરકાર અને ઓઈલ કંપનીઓ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિ અને ગેસ સપ્લાયના આધારે વધુ નિર્ણય લેવામાં આવી શકે છે.

