કેનેડામાં PR મેળવવા ઇચ્છતા લોકો માટે ખુશખબર, આટલા લોકોને મળશે Permanent residency, જાણો જરૂરી દસ્તાવેજો વિશે
કેનેડા સરકારે 33,000 કામચલાઉ નિવાસીઓને કાયમી નિવાસ (PR) આપવાની નવી યોજના જાહેર કરી છે. ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને આ TR થી PR યોજનાનો લાભ મળશે.

કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવાનું સ્વપ્ન જોતા લોકો માટે સારા સમાચાર છે. કેનેડા સરકારે લગભગ 33,000 વિદેશી કામદારોને કાયમી નિવાસ આપવાની યોજના જાહેર કરી છે. હાલમાં કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરતા ભારતીય કામદારો અને અભ્યાસ પૂર્ણ કરીને કામ કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.

કેનેડા સરકારે કુલ વસ્તીમાં કામચલાઉ રહેવાસીઓનો હિસ્સો માત્ર 5 ટકા સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કામચલાઉ રહેવાસીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અને વર્ક પરમિટ પર કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. આ કારણે સરકાર TR થી PR (Temporary Resident to Permanent Resident) નામના નવા માર્ગ દ્વારા કેટલાક કામદારોને કાયમી નિવાસ આપવાની યોજના પર કામ કરી રહી છે.

ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ-ડાયબે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યક્રમની વધુ વિગતવાર માહિતી એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે. સરકારી વેબસાઇટ મુજબ, આ PR યોજના લગભગ બે વર્ષ માટે અમલમાં રહેશે. આ યોજનાનો મુખ્ય હેતુ તેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે કાયમી નિવાસની તક ઉભી કરવી છે જ્યાં કામદારોની ભારે માંગ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કામદારોને વસવાટ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.

હાલમાં PR માટેની સચોટ લાયકાતો અને અરજી કરવાની પ્રક્રિયા જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, સરકાર દ્વારા જણાવ્યા મુજબ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી રહેશે, કારણ કે અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ તેમની જરૂર પડશે.

PR માટે સામાન્ય રીતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી હોય છે. ભાષા કૌશલ્ય દર્શાવવા માટે IELTS જેવી પરીક્ષાનું પરિણામ જરૂરી રહેશે. ગુનાહિત પૃષ્ઠભૂમિ તપાસ માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવું પડે છે. શિક્ષણ સંબંધિત દસ્તાવેજોમાં કેનેડામાં મેળવેલી ડિગ્રી અથવા ECA દ્વારા માન્ય કરાયેલ વિદેશી ડિગ્રીનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત મુસાફરી ઇતિહાસ દર્શાવતા દસ્તાવેજો પણ જરૂરી હોય છે, જેમ કે પાસપોર્ટની વિગતો, એરલાઇન બુકિંગ અથવા ટ્રાવેલ લોગ. રોજગાર સંબંધિત દસ્તાવેજોમાં સંપૂર્ણ નોકરીનો ઇતિહાસ, કંપનીના રેફરન્સ લેટર, T4 સ્લિપ અને રોજગાર કરારનો સમાવેશ થાય છે. જો અરજદાર હાલમાં કેનેડામાં કામ કરી રહ્યો હોય તો વર્ક પરમિટ, એમ્પ્લોયર રેફરન્સ લેટર, પેસ્લિપ અને રોજગાર કરાર જેવા દસ્તાવેજો પણ રજૂ કરવા પડે છે. ઓળખ માટે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અને લગ્ન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પણ જરૂરી બને છે. સામાન્ય રીતે PR અરજી શરૂ થયા પછી આ તમામ દસ્તાવેજોની માંગ કરવામાં આવે છે, તેથી અરજદારોને પહેલેથી જ તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે.

હાલમાં કેનેડામાં આરોગ્યસંભાળ, ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં કામદારોની ભારે માંગ છે. જો કોઈ વ્યક્તિ આ ક્ષેત્રોમાં અનુભવી હોય અને હાલમાં કેનેડામાં કાર્યરત હોય, તો તેને PR મેળવવાની શક્યતા વધુ હોય શકે છે. જોકે, આ અંગેની સંપૂર્ણ માહિતી એપ્રિલમાં જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે.
Study in Canada : ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી તક, જાણો કોને થશે લાભ
