10 માર્ચના મહત્વના સમાચાર : સતત 11મા દિવસે મિડલઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ યથાવત, અમેરિકા-ઇઝરાયલના ઇરાન પર ભીષણ પ્રહાર
આજે 10 માર્ચના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
રાજ્યમાં ગેસના પૂરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર સંપૂર્ણ આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા ઘરોમાં ગેસ પહોંચાડવી રાખવામાં આવી છે અને તેમાં કોઈપણ નુકસાન નહીં થાય તે સુનિશ્ચિત કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં ૫૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં ૪૦ ટકા કાપ લાગુ કરવામાં આવ્યો છે. ઉર્જા પ્રધાનનું કહેવુ છે કે ઘરોમાં એકપણ ચૂલો બંધ ન થાય અને કોમર્શિયલ સિલિન્ડરમાં હાલ કોઈપણ પ્રકારનો કાપ લાગુ કરવામાં આવ્યો નથી.
-
દેશભરના રેસ્ટોરન્ટ્સમાં કરચોરી અંગે આવકવેરા વિભાગની તપાસ
દેશભરના રેસ્ટોરન્ટ્સમાં કરચોરીની શંકાને લઈને આવકવેરા વિભાગે વિશાળ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રમાં વેચાણ છુપાવવાની ગડબડ બહાર આવી હોવાના પ્રાથમિક સંકેતો મળ્યા છે. આવકવેરા વિભાગે આશરે ૧.૭૭ લાખ રેસ્ટોરન્ટ્સના ટ્રાન્ઝેક્શન ડેટાનું કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજી દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ પ્રક્રિયામાં ૨૨ રાજ્યોના ૪૬ શહેરોમાં આવેલા ૬૨ રેસ્ટોરન્ટ્સ પર સર્વે પણ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં લગભગ ૪૦૮ કરોડ રૂપિયાનું વેચાણ છુપાવાયું હોવાનો ખુલાસો થયો છે. વિભાગ દ્વારા હવે આશરે ૬૩ હજાર રેસ્ટોરન્ટ્સને ઇમેઇલ અને મેસેજ મોકલીને માહિતી આપવામાં આવશે. સાથે જ કરદાતાઓ પોતાની ભૂલો સુધારી શકે તે માટે આવકવેરા વિભાગે “સક્ષમ” નામનું અભિયાન શરૂ કર્યું છે અને તેમને ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી રિટર્ન અપડેટ કરવાની સૂચના આપવામાં આવશે.
-
-
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં ગેસની ઉપલબ્ધતા જાળવવા માટે એલપીજી સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર હવે ૨૫ દિવસ પછી જ બુક કરી શકાશે. કેન્દ્ર સરકારે રિફિલ બુકિંગ માટેનો લઘુત્તમ વેઇટિંગ પિરિયડ પણ વધારીને ૪ દિવસ કર્યો છે. યુદ્ધની સ્થિતિમાં લોકો દ્વારા ગેસનો સંગ્રહ ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સાથે જ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે પણ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે.
-
મધ્યપૂર્વ યુદ્ધને પગલે દેશમાં LPGની અછત
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવને કારણે દેશમાં એલપીજી ગેસની અછત સર્જાતી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેના કારણે મુંબઈ, બેંગાલુરૂ અને ચેન્નાઈ સહિતના મોટા શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર સંકટ ઊભું થયું છે. બેંગાલુરૂમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે આજથી અનેક હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ગેસ સપ્લાય બંધ થઈ જતા વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર રોક લગાવવામાં આવી હોવાનું જણાવાય છે. ચેન્નાઈમાં હોટેલ એસોસિએશને પણ સરકારને પત્ર લખીને ગેસની અછત અંગે ધ્યાન દોર્યું છે, જ્યારે મુંબઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત અંગે અહેવાલો સામે આવી રહ્યા છે.
-
સતત 11મા દિવસે મિડલઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ યથાવત
મિડલ ઇસ્ટમાં સતત 11મા દિવસે પણ યુદ્ધની સ્થિતિ યથાવત રહી છે. અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર ભીષણ હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા હોવાનું જણાવાયું છે. અમેરિકાનો દાવો છે કે ઇરાનના લગભગ 5 હજાર સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવ્યા છે. તેના જવાબમાં ઇરાને તેલઅવીવ અને હાઇફા પર ભારે મિસાઇલ હુમલો કર્યો છે. ખાસ કરીને ઇરાને પ્રથમ વખત લગભગ 1000 કિલોના વોરહેડવાળી મિસાઇલનો ઉપયોગ કરીને પ્રહાર કર્યો હોવાનું પણ જણાવાયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
-
આજે 10 માર્ચના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 10,2026 7:32 AM