હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ભાજપ દ્વારા મેગા આયોજન, 7 થી 14 ઓગષ્ટ સુધી શહેરમાં નીકળશે તિરંગા યાત્રા
Azadi Ka Amrit Mahotsav: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર ભાજપ દ્વારા મેગા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમા 7થી 14 ઓગષ્ટ દરમિયાન શહેરમાં મેગા તિરંગા યાત્રા નીકળશે.
આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત દેશભરમાં આગામી તા. 13 થી 15 ઓગષ્ટ સુધી ‘હરઘર તિરંગા અભિયાન’ (Har Ghar Tiranga) શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અન્વયે અમદાવાદ (Ahmedabad)માં મેગા તિરંગા યાત્રાનું શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેમા આજે રવિવારે, 7ઓગષ્ટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થશે અને 14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં આ યાત્રા ફરશે. જિલ્લા ભાજપના નેતાઓ, સાંસદો, પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાશે જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભાગ લેશે. દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણી અતંર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમિયાન દરેક દેશવાસીઓ તેમના ઘર, ઓફિસ, સરકારી કચેરીઓ, સહિતના સ્થળો પર તિરંગો લહેરાવે તેવુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યુ છે.
રવિવારે સાંજે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ
આ આયોજન અંતર્ગત અમદાવાદમાં રવિવારે સાંજે 4 વાગ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. અમદાવાદમાં આવેલા શાહીબાગ સરદાર પટેલ સ્મારક પાસેથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થશે, જે શહેરના તમામ 48 વોર્ડમાં ફરશે. આ ઉજવણી અંતર્ગત સહુ કોઈને તિરંગા યાત્રા અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ યાત્રામાં ભારત માતાની પ્રતિમા પણ જોવા મળશે અને દરેક સ્થળોએ આ પ્રતિમાનુ પુષ્પો અર્પણ કરી આવકારવામાં આવશે, આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેકે દરેક વ્યક્તિ તેમના ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવશે.
7મી ઓગષ્ટથી શરૂ થયેલી આ તિરંગા યાત્રાનું 14 ઓગષ્ટે જોધપુર વોર્ડ ખાતે સમાપન કરવામાં આવશે. સમગ્ર શહેરમાં ચાલનારી આ તિરંગા યાત્રા 350 થી 400 કિલોમીટરનું અંતર કાપશે જેમા રોજ બે વિધાનસભામાં આ તિરંગા યાત્રા યોજાશે. જેમા 3000થી બાઈકો સાથે આ તિરંગા યાત્રા નીકળશે. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે.
અગાઉ ધ્વજનો ઉપયોગ માત્ર સંસ્થાકીય કાર્યો અને ઔપચારિક પ્રસંગો માટે થતો હતો. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ શકશે. આ અભિયાન થકી લોકોને આપણા રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃત કરવામાં મદદ મળશે. 22 જુલાઈ-2022૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમના મતે ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જશે અને લોકોમાં રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે પણ જાગૃતિ ફેલાવશે.
આ ઝુંબેશ એવી અપેક્ષા રાખે છે કે દરેક ભારતીય 15 મી ઓગષ્ટે પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવે. આ અભિયાન અંતર્ગત 13 થી 15 ઓગષ્ટ દરમિયાન ધ્વજવંદન ફરકાવવા કરવા અનુરોધ કરાયો છે. જેના ભાગરૂપે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાનો, ઘરો, ઇમારતો એમ તમામ સ્થળોએ તિરંગો ફરકાવી લોકો પોતાની દેશભક્તિ વ્યકત કરી શકશે.