દાહોદમાં આંગણવાડીની લાલીયાવાડી, બાળકોને અપાયો હલકી ગુણવત્તાનો ખરાબ જીવાતયુક્ત નાસ્તો

દાહોદમાં આંગણવાડીની લાલીયાવાડી, બાળકોને અપાયો હલકી ગુણવત્તાનો ખરાબ જીવાતયુક્ત નાસ્તો

| Edited By: | Updated on: Jan 03, 2026 | 5:14 PM

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પાણી વાસણ ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા પૌષ્ટિક આહારની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં ખરાબ ચણાના ફોટા વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

દાહોદ જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર એક ગંભીર ઘટના સામે આવી છે. દેવગઢ બારીયાના પાણી વાસણ ગામની આંગણવાડીમાં સરકારની પૌષ્ટિક આહાર યોજનાનો ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં હલકી ગુણવત્તાના અને ખરાબ ચણા આપવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે.

આંગણવાડીની ઇમારત જર્જરીત હાલતમાં હોવાથી આંગણવાડી કાર્યકર પોતાના પરિવારજનોના ઘરમાં આંગણવાડી ચલાવે છે. સરકાર તરફથી મળતી સહાયનો લાભ લેતા હોવા છતાં બાળકોને ગુણવત્તાવાળો પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો ન હતો, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. બાળકોને અપાતા ખરાબ ચણાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ CDPO (Child Development Project Officer) દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને નોટિસ ફટકારવામાં આવી છે.

દંડરૂપે આંગણવાડી કાર્યકરનો બે માસનો પગાર જપ્ત કરવામાં આવ્યો છે તેમજ ગરમ નાસ્તાના બિલના ₹25,000 સરકારમાં પરત જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ભવિષ્યમાં આવું ન બને તે માટે કડક દેખરેખ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એક વખત સરકારી પૌષ્ટિક આહાર યોજનાની અમલવારી અને તેની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

Input Credit: Harin Chaliha

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કેમ કર્યો?, વાંચવા માટે અહીં ક્લિક કરો