Breaking News: TCS કર્મચારીઓ માટે ‘સારા સમાચાર’ ! છટણીનો દોર પૂરો, જૂના કર્મચારીઓને પગાર વધારાની ભેટ
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) એ તેના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર જાહેર કર્યા છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ છટણીના દોરનો અંત લાવતા, કંપનીએ હવે તેના જૂના સેલેરી હાઈક સાયકલ પર પરત ફરવાની અને મોટાપાયે નવી ભરતી કરવાની જાહેરાત કરી છે.

IT સેક્ટરની અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) તેના લાખો કર્મચારીઓને મોટી રાહત આપી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તેના ત્યાં છટણી (લે-ઓફ)નો દોર હવે સમાપ્ત થઈ ગયો છે. એક વર્ષના કડક નિર્ણયો અને પુનર્ગઠન પછી, હવે કંપની તેના જૂના તેમજ સ્ટાન્ડર્ડ સેલેરી ઇન્ક્રીમેન્ટ સાયકલ પર પાછી ફરી રહી છે. આ સમાચાર એવા કર્મચારીઓ માટે મોટી આશા લઈને આવ્યા છે કે, જેઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારો અને નોકરીની સુરક્ષાને લઈને મૂંઝવણમાં હતા.
પગારમાં કેટલો વધારો થશે?
TCS એ પુષ્ટિ કરી છે કે, તે તેની વાર્ષિક સેલેરી રિવિઝન પ્રક્રિયા સામાન્ય રીતે શરૂ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, શાનદાર પ્રદર્શન કરનાર (ટોપ પરફોર્મર્સ) કર્મચારીઓને ડબલ ડિજિટ (10% થી વધુ) હાઈક મળી શકે છે. બીજી તરફ, મોટાભાગના કર્મચારીઓ માટે આ વધારો તેમના રેટિંગ અને ગ્રેડના આધારે 4.5% થી 7% ની વચ્ચે રહેવાની શક્યતા છે.
કર્મચારીઓની સંખ્યા ઘટી પરંતુ ભરતી ચાલુ
નાણાકીય વર્ષ 2026 માં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યામાં 23,000 થી વધુનો ઘટાડો થયો છે પરંતુ કંપનીનું કહેવું છે કે, આ બધું છટણીને કારણે નથી. TCS ના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર સુદીપ કુન્નુમલના જણાવ્યા અનુસાર, કંપની હજુ પણ દેશના સૌથી મોટા રિક્રૂટર્સમાંની એક છે. TCS આ વર્ષે અંદાજે 40,000 ફ્રેશર્સની ભરતી કરવાનું લક્ષ્ય રાખે છે અને 25,000 કેમ્પસ ઓફર્સ પહેલેથી જ આપી દેવામાં આવી છે.
CEO નો પોઝિટિવ આઉટલુક અને AI ની વધતી અસર
TCS ના CEO કે. કૃતિવાસને જણાવ્યું હતું કે, શરૂઆતના દબાણ પછી કંપની હવે સકારાત્મક લયમાં છે. કંપનીનો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બિઝનેસ પણ ઝડપથી વધી રહ્યો છે, જેનાથી ચોથા ક્વાર્ટરમાં અંદાજે 2.3 બિલિયન ડોલરની આવક મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, AI ના આ યુગમાં પણ કંપનીઓને TCS જેવી IT ફર્મ્સની જરૂરિયાત રહેશે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 12% વધીને ₹13,718 કરોડ રહ્યો છે.
નાસિક વિવાદે મુશ્કેલીઓ વધારી
એક તરફ જ્યાં કંપની ગ્રોથની વાત કરી રહી છે, ત્યાં બીજી તરફ તેનો HR વિભાગ ખોટા કારણોસર ચર્ચામાં છે. નાસિકના BPO સેન્ટરની HR મેનેજર નિદા ખાનને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હોવાના સમાચાર છે. તેમના પર આરોપ છે કે, તેમણે મહિલા કર્મચારીઓ સાથે થઈ રહેલી જાતીય સતામણી અને દબાણની ઘટનાઓની અવગણના કરી તેમજ કથિત રીતે આ શોષણને પ્રોત્સાહન આપ્યું. આ મામલો સામે આવ્યા બાદ કોર્પોરેટ કલ્ચર અને મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
