Breaking News: અમદાવાદમાં GT-KKR વચ્ચે જામશે જંગ, પહેલી જીત માટે આતુર કોલકાતા સામે જીતની હેટ્રિક માટે તૈયાર ગુજરાત
IPL 2026ની 25મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. એક તરફ KKR પોતાની પ્રથમ જીત માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ GT પોતાની જીતની લય જાળવવા આતુર છે.

IPL 2026ની 25મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થશે. એક તરફ શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત જીતની હેટ્રિક માટે તૈયાર છે, તો બીજી તરફ રહાણેની કપ્તાનીમાં કોલકાતાને પહેલી જીતની તલાશ છે.

આજની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં જીતનો સ્વાદ ચાખી શકી નથી. પાંચ મેચમાંથી ચારમાં મેચ હાર અને એક વરસાદના કારણે રદ્દ થઈ હતી, જેથી હવે આ મેચમાં KKR પર સિઝનની પહેલી જીત મેળવવાનું દબાણ વધી ગયું છે. કેપ્ટન અજિંક્ય રહાણે માટે આ મેચ પ્રતિષ્ઠા બચાવવાનો મોકો છે.

બેટિંગમાં KKRનો આધાર રહાણે અને યુવા ખેલાડી અંગક્રિશ રઘુવંશી પર રહેશે. બંને ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમને મજબૂત શરૂઆત અને લાંબી પાર્ટનરશીપની જરૂર છે. મધ્યક્રમની નિષ્ફળતા પણ ટીમ માટે ચિંતાનો વિષય બની છે.

બોલિંગ વિભાગમાં સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર ટીમની આશા ટકી છે. ખાસ કરીને નારાયણનો અનુભવ અને ટેકનિક GTના બેટ્સમેન માટે પડકાર બની શકે છે. જો બોલરો શરૂઆતમાં વિકેટ લેવામાં સફળ થયા, તો KKR મેચમાં પકડ બનાવી શકે છે.

બીજી તરફ, ગુજરાત ટાઈટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ટીમે ચાર મેચમાંથી બે જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમે સતત બે મેચ જીતી શાનદાર વાપસી કરી છે.

GTની બેટિંગ લાઈનઅપમાં કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન મુખ્ય ભૂમિકા ભજવશે. બંને ખેલાડીઓ ફોર્મમાં છે અને મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. તેમની સારી શરૂઆત ટીમને મોટો સ્કોર ઉભો કરવામાં મદદરૂપ બની શકે છે.

બોલિંગમાં રાશિદ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા GT માટે મુખ્ય હથિયાર છે. રાશિદની સ્પિન અને પ્રસિદ્ધની સ્પીડ KKRના બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. હેડ-ટુ-હેડ આંકડાઓમાં પણ ગુજરાતનું પલડું ભારે છે. બંને ટીમોએ કુલ પાંચ મેચ રમી છે જેમાં ત્રણમાં GT એ જીત મેળવી છે, જ્યારે KKR માત્ર એક મેચ જીત્યું છે, અને એક મેચ રદ્દ થઈ હતી. (PC:PTI/X)
Breaking News: જે ખેલાડી ક્યારેય T20 નથી રમ્યો, તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માનું સ્થાન લેશે?
