રાજ્યસભામાં અમિત શાહના 90 મિનિટના ભાષણમાંથી માત્ર આ 19 સેકન્ડના વીડિયોને તોડી મરોડી રજૂ કરી કોંગ્રેસે અમિત શાહ પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પણ આંબેડકરના અપમાનનો મુદ્દો પકડી પ્રદર્શન કરવા નીકળી પડ્યા. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી “મનુસ્મૃતિમાં માનનારાઓને આંબેડ઼કરજીથી તકલિફ તો થશે જ” આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રની મોદી સરકારને આડે હાથ લીધી. તેમણે પ્રહાર કર્યો કે તેઓ જ્યારે સ્વર્ગ નર્કની વાતો કરે છે ત્યારે મનુસ્મૃતિની વાતો કરે છે.મનુસ્મૃતિના પુસ્તકનો હવાલો આપી કહ્યુ કે આમાં જ ઉલ્લેખ થયેલો છે કે સ્વર્ગ શું છે-નરક શું છે, કઈ જ્ઞાતિ ક્યાં જશે. ખરગેએ આરોપ લગાવ્યો કે મનુસ્મૃતિમાં જે દર્શાવેલુ છે એ માનસિક્તા મોદી સરકારના કેબિનેટ મંત્રીઓ અને નરેન્દ્ર મોદીની ખુદની છે.
આંબેડકરના અપમાનને મુદ્દો બનાવતા વિપક્ષના દાંવપેચનો જવાબ આપવા માટે પીએમ મોદીએ ઉપરાછાપરી એક્સ પર 6 પોસ્ટ કરી. જેમા સ્પષ્ટ લખ્યુ કે ગૃહમંત્રીએ સંસદમાં આંબેડકરનું અપમાન કરવાનો અને SC-STને નજરઅંદાજ કરવાના કાળા ઈતિહાસને ઉજાગર કરી દીધો તો કોંગ્રેસ નાટકબાજી પર ઉતરી આવી છે. જોકે આંબેડકરને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આટલી ખેંચતાણ ચાલી રહી છે તેની પાછળ દલિત વોટબૅંકનું મજબુત ગણિત કામ કરી રહ્યુ છે. રાજ્યોવાર સમજીએ તો દેશના 12 રાજ્યોમાં દલિત વોટબેંક ઘણી મજબુત સ્થિતિમાં છે અને દેશની કૂલ આબાદીમાંથી દર પાંચમો મતદાતા દલિત વ્યક્તિ છે.
દેશમાં 20 કરોડ 13 લાખ 78 હજાર 86 દલિત છે. જે દેશની કૂલ વસ્તીનો 16.63% હિસ્સો છે. દેશના 76.4% દલિતો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. જે સમગ્ર દેશની વસ્તીના 68.8% છે.જ્યારે 23.6% દલિતો શહેરી વિસ્તારોમાં રહે છે. જે સમગ્ર દેશની વસ્તીનો 31.2% હિસ્સો છે. આ જ વોટબેંકને સાધવાની સાઠમારીમાં કોંગ્રેસે શાહ પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવવાનો મુદ્દો ચગાવ્યો. દલિત વોટબેંકથી મળેલી સીટોના ઉત્સાહમાં અમિત શાહના ભાષણનો માત્ર 19 સેકન્ડનો વીડિયો બતાવી કોંગ્રેસ પુરી રાજકીય ફટકાબાજી કરી રહી છે.
દેશની સૌથી વધુ સીટો ધરાવતા યુપીની 80માંથી 42 સીટો પર દલિત વોટબેંક મજબુત સ્થિતિમાં છે. પશ્ચિમ બંગાળમાં 26 સીટો પર, તમિલનાડુની 21, પંજાબની 13, કર્ણાટકની 11, રાજસ્થાનની 10, આંધ્ર પ્રદેશની 9, બિહારની 6, હરિયાણાની 5, તેલંગાણાની 3, એમપીની 8 અને મહારાષ્ટની 4 સીટો પર દલિતોનું પ્રભુત્વ છે. આજ કારણથી આંબેડકરના અપમાનનો મુદ્દો બનાવી કોંગ્રેસ દલિત વોટબેંકને પોતાના તરફ કરી શકે છે.
કોંગ્રેસને લાગે છે કે અમિત શાહના 19 સેકન્ડના અધૂરા વીડિયોને આધારે આંબેડકરના અપમાનનો મુદ્દો આક્રમક્તાથી ઉઠાવી ભાજપને દલિત વોટબેંક પર ઘેરી શકાય છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે ઈન્ડિયા ગઠબંધનને દલિતોના અને અન્ય પછાત વોટ વધુ મળ્યા છે. દેશમાં 156 લોકસભા બેઠકો એવી છે કે જ્યા દલિત વોટ બહોળા પ્રમાણમાં છે. જે પૈકી ઈન્ડિયા ગઠબંધનને 93 બેઠકો જીતી હતી, ગત 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ વિપક્ષી ગઠબંધનને 53 બેઠકોનો ફાયદો થયો અને NDA એ 57 સીટો જીતી હતી જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 34 સીટો ગુમાવવી પડી હતી.
દેશ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:34 pm, Thu, 19 December 24