વિધાનસભા પેટાચૂંટણી 2021: ભાજપે મહારાષ્ટ્ર, તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોના નામ કર્યા જાહેર, 30 ઓક્ટોબરે થશે મતદાન
Assembly bypolls 2021: શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને કોંગ્રેસે મિઝોરમની તુરીયાલ વિધાનસભા બેઠક માટે પહેલાથી જ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એમએનએફે કે. લાલદાવંગલીયાનાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે મહારાષ્ટ્રના (Maharashtra) દેગલુર, તેલંગાણાના હુઝુરાબાદ અને મિઝોરમમાં તુરીયાલની વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ દેગલૂરથી સુભાષ સાવને, હુઝુરાબાદથી એટેલા રાજેન્દ્ર અને તુરીયાલથી કે. લાલદીન્થરાને ઉમેદવારીની લીલી ઝંડી આપી છે.
આ ત્રણ બેઠકો માટે 30 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, જ્યારે 11 ઓક્ટોબરે નામાંકન પત્રની ચકાસણી થશે અને 13 ઓક્ટોબરે નામાંકન પત્રો પરત ખેંચી શકાશે. મતગણતરી 2 નવેમ્બરે થશે. મહારાષ્ટ્રના નાંદેડ લોકસભા મતવિસ્તારના દેગલૂર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર સાવને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય છે. કોંગ્રેસના ધારાસભ્ય રાવસાહેબ અંતારપુરકરના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. તેમને કોવિડ -19થી સંક્રમિત થયા હતા.
તેલંગાણાની હુઝુરાબાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર એટેલા રાજેન્દ્ર ત્યાંની શાસક તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સરકારમાં મંત્રી હતા. જમીન પર ગેરકાયદે અતિક્રમણના આરોપોને કારણે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા રાજેન્દ્રની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે જૂનમાં રાજીનામું આપ્યું હતું. ત્યારથી આ બેઠક ખાલી છે. તાજેતરમાં જ રાજેન્દ્ર ભાજપમાં જોડાયા હતા.
મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસે ઉમેદવારોની પહેલા જ જાહેરાત કરી દીધી
શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) અને કોંગ્રેસે મિઝોરમમાં તુરીયાલ વિધાનસભા બેઠક માટે પહેલાથી જ તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એમએનએફ કે. લાલદાવાંગલીયાના, જ્યારે કોંગ્રેસે આગામી પેટાચૂંટણી માટે પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય ચલોરસંગા રાલ્ટેને પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉતારવા અંગે ભાજપમાં દ્વિધા હતી, પરંતુ હવે તેણે લાલદિનથારાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)ના ધારાસભ્ય એન્ડ્ર્યુ એચ થંગલિયાનાના મૃત્યુને કારણે તુરીયાલ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જરૂરી હતી. થંગલિયાનાનું 17 ઓગસ્ટના રોજ અવસાન થયું.
આ પણ વાંચો : Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન