મહારાષ્ટ્ર સરકારનો સ્કુલ ખોલવા અંગે મહત્વનો નિર્ણય, 17 ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવામાં આવશે
મહારાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર શાળાઓએ કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, ખાસ કરીને જે શાળાઓમાં બાળકોની સંખ્યા વધારે છે, તેમને અલગ અલગ સમયે બોલાવવાના રહેશે.
દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus)ની લહેર ધીમી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા શાળા ખોલવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ઘણા રાજ્યોએ શાળાઓ ખોલી પણ દીધી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) પણ સ્કુલ ખોલવા અંગે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે (10 ઓગસ્ટ, મંગળવાર) નિર્ણય લેવામાં આવ્યો છે કે 17 ઓગસ્ટથી શહેરી વિસ્તારોમાં ધોરણ 8થી ધોરણ 12 સુધીની શાળાઓ ખોલવામાં આવશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 17 ઓગસ્ટથી ધોરણ 5થી 7 સુધીની શાળાઓ ખોલવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં 15 જુલાઈથી જ ધોરણ 8થી ધોરણ 12 સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કુલ ખોલવાની મંજૂરી શહેરમાં છેલ્લા 1 મહિનાના કોરોના વાઈરસના સંક્રમણ દરમાં થયેલા સતત ઘટાડાને આધારે આપવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ નક્કી કરશે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ નક્કી કરશે કે કયા વિસ્તારોમાં શાળા ખોલવાની મંજૂરી આપવી જોઈએ. મુંબઈ અને થાણે શહેરને આ આદેશથી અલગ રાખવામાં આવ્યા છે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો આ અંગે નિર્ણય લેશે.
મહારાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર શાળાઓએ કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, ખાસ કરીને જે શાળાઓમાં બાળકોની સંખ્યા વધારે છે, તેમને અલગ અલગ સમયે બોલાવવાના રહેશે. એક બેન્ચ પર માત્ર એક જ બાળક બેસી શક્શે અને દરેક બેન્ચ વચ્ચે લગભગ 6 ફૂટનું અંતર હોવું જોઈએ. તેમજ બાળકોને ભણાવનારા શિક્ષકોએ કોરોના રસી લીધેલી હોવી જોઈએ. વિદ્યાર્થીઓના વાલીઓને પણ શાળાએ આવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ, જેથી ભીડ એકઠી ન થાય.
જો કોઈ બાળક શાળામાં કોરોના સંક્રમિત જોવા મળે છે તો શાળા તાત્કાલિક બંધ કરવી પડશે અને સેનિટાઈઝેશન કરવું પડશે. જો શક્ય હોય તો શાળામાં ભણાવવા માટે આવનારા શિક્ષકો માટે રહેવાની વ્યવસ્થા શાળામાં જ અથવા તો શાળાની નજીક જ કરવામાં આવે, જેથી તેઓએ શાળાએ આવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવો પડે.
આ સાથે વિશ્વના આવા ઘણા દેશોમાં શાળાઓ ખોલવાનું શરૂ કર્યું છે, તાજેતરમાં ગુજરાતમાં પણ શાળાઓ ખોલવા અંગે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. જ્યાં કોવિડની બીજી લહેરનો અંત માનવામાં આવી રહ્યો છે. સરકારનો પણ પ્રયત્ન છે કે તમામ શિક્ષકોને રસી આપવામાં આવે, જેનાથી બાળકોમાં સંક્રમણનું જોખમ ઓછું રહે.
આ પણ વાંચો : Maharashtra: પૂણેના 79 ગામમાં ઝિકા વાયરસનું જોખમ, આરોગ્ય અને વહીવટી તંત્ર એલર્ટ પર