અમદાવાદ રેલવે સ્ટેશનનું ભારણ ઘટાડવા વટવા રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ, મેગા ટર્મિનલ તૈયાર થયા બાદ રોજની 50થી વઘુ ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના અલગ અલગ રેલવે સ્ટેશને વિકાસકાર્યો ઝડપથી ચાલી રહ્યાં છે. જેમાં અમદાવાદ ઉપરાંત, વટવા, સાબરમતી, મણીનગર, અસારવા, ગાંધીનગર અને ભાવનગર ડિવિઝનના ગાંધીગ્રામનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશને વિકાસકાર્યો સંપન્ન થયા બાદ, અમદાવાદ ડિવિઝન રોજની 150થી વઘુ ટ્રેનનુ સંચાલન કરી શકશે. વટવા ખાતેથી રોજની 56–57 ટ્રેનનું સંચાલન થઈ શકે તેવુ મેગા ટર્મિનલ બનાવાશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબો એક મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેના માધ્યમથી અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોના વધારાનો ભાર ઘણો ઓછો થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટ્રેન સંચાલનની ક્ષમતા ખૂબ વધશે. આ પ્રોજેક્ટ મંડળની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા 2.5 ઘણી વધારવાની યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ ઉત્તમ મુસાફરી સુવિધાઓ, નિરાંતે સંચાલન અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક રેલવે માળખું તૈયાર કરવાનો છે.
વટવા ટર્મિનલની મુખ્ય સંરચના અને આધુનિક સુવિધાઓ
• વટવા ખાતેનું આ મેગા ટર્મિનલ આશરે 3 કિમી લાંબુ હશે, જેની પહોળાઈ LC-305 પર 76 મીટર, ROB-713 (SP રિંગ રોડ) પર 300 મીટર અને ખારી બ્રિજ નં. 711 પર 118 મીટર રહેશે. • ટર્મિનલમાં કુલ 12 પિટ લાઈનો બનાવવામાં આવી રહી છે, જેનાથી ટ્રેનોનું સઘન અને નિયમિત જાળવણી સરળતાથી શક્ય બનશે. • 29 સ્ટેબલિંગ લાઇનો પૂરી પાડવામાં આવશે, જેમાં ખાલી રેક સુરક્ષિત રીતે ઉભા કરી શકાય છે. • 2 વોશિંગ લાઇનો બનાવવામાં આવશે, જેનાથી રેક્ની ઝડપી અને નિરંતર સફાઈ સુનિશ્ચિત કરી શકાશે. • 2 સિક લાઇનો (600 મીટર) બનાવવામાં આવી રહી છે, જ્યાં ખરાબ કોચોનું સમારકામ અને ટેકનિકલ સુધારા કરી શકાશે. • 6 નવા વધારાના પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેનાથી પ્લેટફોર્મની કુલ સંખ્યા 9 થઇ થશે અને ટ્રેનોના પ્રારંભ અને સમાપ્તિ વધારે સુવ્યવસ્થિત રહેશે. • વટવા ટર્મિનલના પૂર્ણ સંચાલન પછી પ્રતિ દિન 36 ટ્રેનોનું પ્રાયમરી મેન્ટેનેન્સ 15 ટ્રેનોની પ્લેટફોર્મ રીટર્ન સુવિધા અને કુલ 51 ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. • એકલા વટવા ટર્મિનલજ મંડળના કુલ ક્ષમતા વૃદ્ધિમાં લગભગ 85% યોગદાન આપશે
અમદાવાદ ડિવિઝનમાં બધા સ્ટેશનો પર ઝડપીથી ચાલી રહેલો વિકાસ
• વટવાની સાથે-સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીનગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ મોટા પાયે અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જે સમગ્ર નેટવર્કને મજબૂત બનાવશે. • બધા કાર્ય પૂર્ણ થયા પછી ડિવિઝનની ટ્રેન ઓરીજીનેશન ક્ષમતા સરેરાશ 58 થી વધીને 150 ટ્રેનો પ્રતિદિવસ થઇ જશે, જે અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ હશે. • અમદાવાદ સ્ટેશન પર ટ્રેન સંચાલન ક્ષમતા 38 ટ્રેનો થી વધીને 45-50 ટ્રેનો પ્રતિદિવસ સુધી પહોચી જશે. • સાબરમતી સ્ટેશન પર આ ક્ષમતા 20 થી વધીને 27-28 ટ્રેન પ્રતિદિવસ થશે. • અસારવા સ્ટેશન પર ક્ષમતા 6 થી વધીને 11-12 ટ્રેન પ્રતિદિવસ સુધી વધશે. • ગાંધીનગર કેપિટલ સ્ટેશનની ક્ષમતા 6 થી વધીને 8-10 ટ્રેન પ્રતિદિવસ સુધી પહોંચી જશે. • ગાંધીગ્રામ સ્ટેશન 4 થી વધીને 7-8 ટ્રેન પ્રતિદિવસનું સંચાલન કરવામાં સક્ષમ થશે. • વટવા સ્ટેશન પર સંચાલન ક્ષમતા સૌથી વધુ વૃદ્ધિ સાથે 6 થી વધીને 56–57 ટ્રેન પ્રતિદિવસ સુધી પહોંચશે.
મુસાફરોને લાભ – નેટવર્કમાં સુધારો
• ક્ષમતા વૃદ્ધિથી મુસાફરોને પ્રતિદિવસ ની મુસાફરીની વહન ક્ષમતા 1,02,000 થી વધીને 2,62,000 પ્રતિદિવસ (આશરે 2.5 ગણી) સુધી નો લાભ મળશે. • વધારે સંખ્યામાં એક્સપ્રેસ, મેમુ, ફેસ્ટિવલ સ્પેશલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓ ની શરૂઆત સંભવ થશે • પીટ લાઇનના નિર્માણથી 23 કોચવાળા LHB રેક્સ, વંદે ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનોનું જાળવણી શક્ય બનશે, જેનાથી ટ્રેનોની ઉપલબ્ધતામાં વધારો થશે. • અમદાવાદ અને સાબરમતી યાર્ડમાં ભીડ ઓછી થવાથી ટ્રેનોની સમયસરતા માં વૃદ્ધિ થશે. • ઝડપી મેન્ટેનન્સ અને ઓછા ટર્નઅરાઉન્ડ સમય થી ટ્રેન સંચાલન વધારે સરળ, સમયસર અને કુશળ બનશે. • નવી પીટ લાઇન, સ્ટેબલિંગ, વોશિંગ અને સિક લાઇન સુવિધાઓ રેક્ની વધુ સારી સફાઈ, ગુણવત્તા અને જાળવણી સુનિશ્ચિત કરશે. • અમદાવાદ યાર્ડ રિમોડેલિંગ, સાબરમતી ખાતે નવી પીટ લાઇન અને પ્લેટફોર્મ નિર્માણ, અસારવા-સાબરમતી Y-કનેક્શન અને ગાંધીગ્રામ-સાબરમતી-ખોડિયાર Y-કનેક્શન જેવા મુખ્ય નેટવર્ક સુધારણા કાર્યો ટ્રેનની ગતિવિધિઓને ઝડપી, સુરક્ષિત અને સરળ બનાવશે.
આ બધા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી અમદાવાદ મંડળ પશ્ચિમરેલવેના સૌથી કાર્યક્ષમ, આધુનિક અને ભવિષ્યલક્ષી ટર્મિનલ ક્લસ્ટર તરીકે ઉભરી આવશે, જે દરરોજ 150 ટ્રેનોનું સંચાલન કરી શકશે. આનાથી મુસાફરોની સુવિધા અને સેવાની ગુણવત્તામાં ઐતિહાસિક સુધારો થશે.