ભાવનગરના તળાજા ખાતે યોજાઈ “આયુર્વેદ કથા” વિવિધ હેલ્થ ટીપ્સ અંગે લોકોને કરાયા જાગૃત
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ભાવનગર દ્વારા મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ સરકારી શાળાના પટાંગણમાં આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની વ્યાસપીઠે આયુર્વેદ કથાનું રસપાન કરાવ્યું હતું
આયુર્વેદ ઉપચાર એ દેશનો સૌથી શ્રેષ્ઠ ઉપચાર માનવા આવે છે. ત્યારે આ જ વાત સાર્થક કરવા ગુજરાત ભરમાં પ્રખ્યાત વૈદરાજ ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા દ્બારા આયુર્વેદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કથાનું આયોજન કરીને આ સમગ્ર આયુર્વેદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકો આયુર્વેદ તરફ જાગૃત થાય તે માટે લોકોને આપીલ કરવામાં આવી રહી છે.
ભારતની પરંપરા અને સંસ્કૃતિમાં આયુર્વેદનું મહત્વ
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કાળની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ પછી લોકો સ્વાસ્થય પ્રત્યે ભારે સભાન જોવા મળી રહ્યા છે. જોકે કોરોના કાળ દરમિયાન એલોપેથી, હોમિયોપેથી, યોગા અને આયુર્વેદ ઉપચાર દ્વારા કોરોના માંથી અનેક લોકોને મોતના મુખમાંથી બચાવ્યા છે. ત્યારે ભારતની પરંપરા અને સંસ્કૃતિ માં યોગની જેમ આયુર્વેદનું ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ તરફ લોકો કોરોનાના સમય પછી જબરજસ્ત રીતે વળી રહ્યા છે. હાલમાં ઝડપી જીવનના લીધે અને મોબાઈલ ટેકનોલોજી યુગમાં લોકોનું જીવન સતત સ્ટ્રેસ યુક્ત થઈ રહ્યું છે. મેદસ્વિતા વધી રહી છે જેને લઇ શરીરમાં અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે ઘર ઘર સુધી આયુર્વેદ પહોંચે તે આવશ્યક બન્યું છે.
“ધાર્મિક કથા” જેવી “આયુર્વેદ કથા”
લોકો સ્વસ્થ અને નિરોગી બને સાથે સાથે સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય અને ગૌવંશ બચે તેના માટે ભાવનગરના ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત એવા વૈદરાજ ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે એક નવી જ રીત અપનાવી છે. જે રીતનું નામ છે આયુર્વેદ કથા. સામાન્ય રીતે આપણને રામાયણ ની કથા, દેવી ભાગવતની કથા જેવી અનેક ધાર્મિક કથાઓ સાંભળવા મળતી હોય છે. ત્યારે આયુર્વેદ કથા એ લોકોના કાને સંભળાતાજ લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. ભાવનગરના જિલ્લાના તળાજા ખાતે પોતાનું અષ્ટાંગ આયુર્વેદ ધામ ચલાવતા ડો.મહેન્દ્રસિંહ સરવૈયા લોકોની આયુર્વેદ દ્વારા સેવા તો કરે જ છે, પરંતુ તેમનો લક્ષ્યાંક લોકોને આયુર્વેદ તરફ જાગૃત કરવા અને લોકો ઘરે ઘરે સ્વસ્થ થાય તેના માટે તેમણે આયુર્વેદ કથા શરૂ કરવાનો છે.
આ પણ વાંચો : રાજીવ દીક્ષિતે હાર્ટ એટેકથી બચવા માટે જણાવ્યા ઉપાય, કહ્યું ‘તમારા ખાનપાનમાં આ વસ્તુમાં કરો ફેરફાર’
આયુર્વેદના બતાવ્યા વિવિધ ઉપચાર
આયુર્વેદ કથા ની અંદર લોકોને કેવી રીતે જમવું, શું જમવું, પ્રાણાયામ ધ્યાન કેવી રીતે કરવું, પોતાના આંગણે કયા છોડનું વાવેતર કરવું, કેવા શાકભાજી લેવા, કેવા અનાજ લેવા કયા પ્રકારના ચૂર્ણ લઈ શકાય, સ્વસ્થ રહેવા માટે શું શું ધ્યાન રાખી શકાય, ગાયના ઘીનો કેવી રીતે ઉપયોગ કરાય, શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી કેવી રીતે મટાડી શકાય, જેવી જીવનમાં ખૂબ જ જરૂરી એવી આયુર્વેદિક પદ્ધતિ ઓથી લોકોને વાકેફ થાય, આયુર્વેદને સાવ નજીકથી લોકો જાણે અને પરંપરાગત સંસ્કૃતિમાં જે વાત વર્ષોથી ઋષિઓ જેમને અપનાવતા આવ્યા છે. એવી આયુર્વેદ ઉપચાર પદ્ધતિ લોકો એકદમ સરળતાથી સમજી શકે તેવી રીતે આયુર્વેદ ના સ્લોકો સાથે સમજાવી રહ્યા છે. મહત્વનું છે કે, લોકો પણ આયુર્વેદ કથા સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
આયુર્વેદ સાથે ધ્યાન અને પ્રાણાયામ પણ લાભદાયી
ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા આયુર્વેદ કથાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ભાવનગર દ્વારા મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ સરકારી શાળાના પટાંગણમાં આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની વ્યાસપીઠે આયુર્વેદ કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં આજના જમાનામાં કેવા પ્રકારના ફળફળાદી લેવાથી રોગમુક્ત થઈ શકાય તથા ક્યાં પ્રકારના યોગ, પ્રાણાયામ, ધ્યાન દ્વારા રોગમુક્ત થઈ શકાય તે અંગે રસપ્રદ વિસ્તૃત માહિતી આપી હતી, આ કથામાં શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.