કોરોનાકાળના બે વર્ષ બાદ અમદાવાદવાસીઓએ આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી. જો કે દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે. દિવાળીમાં અમદાવાદમાં અઢળક ફટાકડા ફોડ્યા બાદ હવા પ્રદૂષિત થઇ છે. પ્રદૂષણના કારણે શહેરના AQIમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ માટે વધતુ જતુ પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે.
તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે તેમાય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ, દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે.
આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે. સવારે 11 વાગ્યે પીરાણા પાસે AQI 285 નોંધાયો છે. સૌથી વધુ પ્રદૂષણ બોપલમાં હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમમાં બોપલ આસપાસના વિસ્તારમાં AQI 313 થઇ ગયો છે. AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેના AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ ગણાય છે. ત્યારે અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી જઇ રહી છે.
(વિથ ઇનપુટ- રોનક વર્મા, અમદાવાદ)