આખરે વેચાઈ ગઈ Pakistan Airlines, જાણો કયા અમીર વ્યક્તિએ ખરીદી
પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન PIA ને આખરે નવો માલિક મળ્યો છે. દેવામાં ડૂબેલી PIA ને અબજો રૂપિયામાં ખરીદી લીધી છે.

પાકિસ્તાનની ભારે દેવાથી દબાયેલી રાષ્ટ્રીય એરલાઇન માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. લાંબા સમયથી નાણાકીય સંકટમાં રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ને અંતે નવો માલિક મળ્યો છે. આરિફ હબીબ કોર્પોરેશનના નેતૃત્વ હેઠળના એક કન્સોર્ટિયમએ ૧૩૫ અબજ પાકિસ્તાની રૂપિયાની બોલી લગાવીને PIA માં ૭૫ ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સમગ્ર હરાજી પ્રક્રિયાનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય માલિકીની PIA છેલ્લા ઘણા વર્ષોથી નુકસાન અને દેવામાં ફસાઈ હતી. સરકારને મળેલી ત્રણ બોલીઓમાંથી આરિફ હબીબ ગ્રુપની બોલી સૌથી ઊંચી રહી હતી. કરાર મુજબ, હરાજીથી મળેલી કુલ રકમમાંથી ૯૨.૫ ટકા રકમ એરલાઇનના સુધારા, પુનર્ગઠન અને કામગીરી મજબૂત કરવા માટે વપરાશે. હાલ PIA પાસે કુલ ૩૨ વિમાનોનો ફલીટ છે, જેમાં Airbus A320, Boeing 737, Airbus A330 અને Boeing 777 જેવા વિમાનો સામેલ છે.
આરિફ હબીબ ગ્રુપ હેઠળના આ કન્સોર્ટિયમમાં ફાતિમા ફર્ટિલાઇઝર, સિટી સ્કૂલ્સ અને લેક સિટી હોલ્ડિંગ્સ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા પારદર્શિતા જાળવવા માટે સમગ્ર પ્રક્રિયા જાહેર રીતે કરવામાં આવી હતી, જેથી કોઈ શંકા ન રહે.
આરિફ હબીબ કોણ છે અને શું કરે છે?
PIA જેવી મોટી અને દેવામાં ડૂબેલી એરલાઇન ખરીદનાર આરિફ હબીબ પાકિસ્તાનના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક છે. આરિફ હબીબ ગ્રુપની સ્થાપના વર્ષ 1970માં આરિફ હબીબ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ જૂથ શેરબજાર અને દલાલી વ્યવસાય સુધી મર્યાદિત હતું, પરંતુ સમય સાથે તે ફાઇનાન્સ, ખાતર, સ્ટીલ અને રિયલ એસ્ટેટ જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તર્યું.
જૂથની મુખ્ય કંપની આરિફ હબીબ લિમિટેડ (AHL) શેરબજાર, રોકાણ અને બેંકિંગ સેવાઓ આપે છે. ખાતર ક્ષેત્રમાં ફાતિમા ગ્રુપ મારફતે તેની મજબૂત હાજરી છે. બાંધકામ અને સ્ટીલ ક્ષેત્રમાં આયશા સ્ટીલ જેવી કંપનીઓ દ્વારા આ જૂથ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે સાથે, જાવેદન કોર્પોરેશન દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ તેનું મોટું રોકાણ છે. મિત્સુબિશી અને મેટલ વન જેવી વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારી હોવાને કારણે આ જૂથની આર્થિક મજબૂતી સ્પષ્ટ થાય છે.
PIA વેચાણ સુધી કેવી રીતે પહોંચી?
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ વર્ષોથી ખરાબ સંચાલન, ઓછી ફ્લાઇટ્સ, મુસાફરોની ફરિયાદો અને ભારે દેવાના કારણે સતત નુકસાનમાં હતી. વર્ષ 2020માં કરાચીમાં થયેલી વિમાન દુર્ઘટના અને નકલી પાઇલટ લાઇસન્સ કૌભાંડથી એરલાઇનની વિશ્વસનીયતાને વધુ આઘાત લાગ્યો હતો. આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય નાણાં કોષ (IMF) ના દબાણને કારણે પાકિસ્તાન સરકારને PIA ને ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણય લેવો પડ્યો.
હવે આરિફ હબીબ ગ્રુપના નેતૃત્વમાં PIA નું પુનર્ગઠન થશે અને એરલાઇનને ફરી ઉભી કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
