વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, જોખમી કચરાના હેરફેર માટેની વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમનું CMએ કર્યુ લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, આ દિવસ આપણા ભૂતકાળ પર નજર નાખી વર્તમાનની સ્થિતિના ઉપાયોથી પર્યાવરણ પ્રિય ઉજ્વળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) હાજરીમાં 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યપ્રધાને જી.પી.સી.બી.ની નવનિર્મિત સુરત, સરીગામ તથા અંકલેશ્વરની પ્રાદેશિક કચેરીના મકાનો તથા એમિશન ટ્રેડિંગ સ્કીમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. જોખમી કચરાના હેરફેર માટેની વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS)નું ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં પર્યાવરણ જાળવવાની દિશામાં નવતર કદમ અને પહેલથી દેશને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન અને માનવીનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા મળી છે. વડાપ્રધાને ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવો છે. આ સંકલ્પને સાકાર કરવા 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50 ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, આ દિવસ આપણા ભૂતકાળ પર નજર નાખી વર્તમાનની સ્થિતિના ઉપાયોથી પર્યાવરણ પ્રિય ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર છે. સમયની માગ સમજીને અને પૃથ્વી પર જીવવાના દરેકના અધિકારને સુરક્ષિત રાખીને જેટલું બને તેટલું ઓછું નુકસાન પૃથ્વીને થાય તેવું સામાજિક જવાબદારી પૂર્ણ વર્તન કરીએ તેવી અપીલ પણ તેમણે કરી હતી.
ગુજરાત પણ વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે અને રાજ્યના ઉદ્યોગો અને સૌના સહયોગથી ગુજરાત પર્યાવરણ પ્રિય ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષના આ વિશ્વ પર્યાવરણ દિવસે સૌને જળ, જમીન બચાવી, શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાના સામૂહિક સંકલ્પનું આહ્વાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે રાજયના ઉદ્યોગ ગૃહોને પણ પર્યાવરણ જાળવી અને પ્રદૂષણ અટકાવી વિકાસમા સહભાગી થવા અનુરોધ કરતા સ્પષ્ટપણે ક્હ્યું કે, ઉદ્યોગ ગૃહોને પર્યાવરણ જાળવવાના પ્રયાસોમાં સરકાર તેમની સાથે છે અને તેમની યોગ્ય તથા વાજબી રજૂઆતો માટે મુખ્યમંત્રી કે પર્યાવરણ મંત્રીના દ્વાર ખુલ્લા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અવસરે કેટલીક પહેલ પણ હાથ ધરવામાં આવી છે. જી.પી.સી.બી. દ્વારા અંદાજીત રૂ. 5 કરોડના ખર્ચે સાબરમતી, મહિસાગર, તાપી, દમણગંગા નદીઓ અને કાંકરીયા, થોળ તળાવ પર રીયલ ટાઇમ ઓનલાઇન વોટર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલુ છે. તેનાથી નદી- તળાવના પાણીની ગુણવતા પર રીયલ ટાઈમ નજર રાખી તેને સુધારવા ચોક્ક્સ પગલાં ભરી શકાશે.
વિવિધ પ્લેટફોર્મ પર રહેલી ઓનલાઈન મોનિટરિંગની રીયલ ટાઈમ માહિતીને એક જ પ્લેટફોર્મ પર લાવી મોનીટરીંગ, ચેક, વોર્નિંગ – અપડેટ્સ સાથે બોર્ડ વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે ઓછા મેન પાવર સાથે પ્રદૂષણ નિયંત્રણ કરવા સક્ષમ બને તે માટે અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે સેન્ટ્રલર કમાન્ડ એન્ડ કંટ્રોલ- સિક્યોર સેન્ટરનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી તુલનાત્મક ગ્રાફિકલ ડેટાબેઝ પરથી રિસર્ચ અને ડેવલપમેન્ટને પણ વેગ મળશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા VLTS- (Vehicle Location Tracking System) કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમના ક્લોઝ લુપ થકી જોખમી કચરાના વ્યવસ્થાપન પર બાજ નજર રાખી શકાશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ” Only One Earth” થીમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશમા માત્ર ચાર રાજ્ય પૈકી અલગથી “કલાઈમેન્ટ ચેન્જ” વિભાગ શરું કરવાનું શ્રેય ગુજરાતને જાય છે. સાથે સાથે આપણાં ધર્મસ્થાનોને ‘પ્લાસટીક મુક્ત ‘ કરવાની ઝુંબેશમાં ઉધોગો આગળ આવે તેવી હાકલ પણ મંત્રીએ કરી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને નિકાલની ઝુંબેશમાં સક્રીય યોગદાન આપનાર ઉધોગ -સંસ્થાઓનુ મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું.