CBIએ મેહુલ ચોક્સી વિરુદ્ધ FIR નોંધી, સરકારી કંપની IFCI સાથે 22 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
ચોક્સી પર આરોપ છે કે તેણે 2014-18ની વચ્ચે સરકારી માલિકીની ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Industrial Finance Corporation of India) સાથે કથિત રીતે 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
સીબીઆઈએ (CBI) સોમવારે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) અને તેની કંપની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. ચોક્સી પર આરોપ છે કે તેણે 2014-18ની વચ્ચે સરકારી માલિકીની ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Industrial Finance Corporation of India) સાથે કથિત રીતે 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સંદર્ભે સીબીઆઈએ ચોક્સી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.
સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આઈએફસીઆઈ (IFCI) આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) એ મેહુલ ચોક્સી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ પછી, ચોક્સી અને તેની કંપની વિરુદ્ધ IPC કલમ 420 (છેતરપિંડી), 468 (છેતરપિંડી કરવાના ઈરાદાથી બનાવટી) અને 471 (જે કોઈ પણ છેતરપિંડી અથવા અપ્રમાણિકપણે અસલી તરીકે ઉપયોગ કરે છે) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ચોક્સી વિરુદ્ધ FIR નોંધવામાં આવી
CBI has registered a fresh case against fugitive diamantaire Mehul Choksi & his company Gitanjali Gems for allegedly defrauding Industrial Finance Corporation of India of Rs 22 crores between 2014-18, said CBI
— ANI (@ANI) May 2, 2022
ગત મહિને આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી હતી
તમને જણાવી દઈએ કે ગયા મહિને પીએનબી કૌભાંડમાં આવકવેરા વિભાગે મેહુલ ચોક્સીની સંપત્તિ પર મોટી કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે જપ્તીની કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે નાસિકમાં 9 એકર ખેતીની જમીન વિભાગ દ્વારા કબજે કરવામાં આવી છે.
PNB સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
મેહુલ ચોક્સી રિટેલ જ્વેલરી કંપની ગીતાંજલિ ગ્રુપનો માલિક છે અને નીરવ મોદીનો કાકા પણ છે. આ બંને પર પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા. ફેબ્રુઆરીમાં સીબીઆઈએ કથિત કૌભાંડની તપાસ શરૂ કરી હતી.
મેહુલ ચોક્સી 2018થી ભારતમાંથી ફરાર છે
તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોક્સી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે 4 જાન્યુઆરી 2018ના રોજ ભારતથી ભાગી ગયો હતો. ફરાર થયા બાદ તેણે કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી હતી. ગયા વર્ષે તે એન્ટિગુઆ અને બાર્બુડાથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયો હતો. બાદમાં તેને પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી ભાગી ગયા બાદ મુંબઈની એક કોર્ટે જૂન 2018માં ચોક્સી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આ પછી જુલાઈ 2019માં ઈન્ટરપોલે ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ પણ જાહેર કરી હતી. ચોક્સીએ 2018માં એન્ટિગુઆની નાગરિકતા મેળવી હતી. ચોક્સી 23 મે, 2021ના રોજ એન્ટિગુઆથી ગુમ થયો હતો અને બીજા દિવસે ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Share Market Updates: સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં ઘટાડો, સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટીને 56975 પર બંધ થયો