સામન્ય રીતે વીમા કંપનીઓ વિવિધ ઉપજાવી કાઢેલા કારણો દર્શાવીને પોલીસીધારક દર્દીઓના કાયદેસરના યોગ્ય દાવા નકારે છે. અથવા અધુરી અપુરતી રકમ ચૂકવે છે. આથી પોલીસી ધારક દર્દીઓમાં વીમા કંપની સામે અસંતોષ અને આક્રોશ ની લાગણી ભભૂકી રહી છે. ત્યારે આવા જ એક કેસમાં અમદાવાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે વીમા કંપનીને આદેશ આપ્યો છે અને પોલિસી ધારકને રકમ ચૂકવવા આદેશ કર્યો છે. જેમાં અનેક રોગમાં દર્દીઓના 24 કલાક હોસ્પિટલાઇઝેશનના આવશ્યક્તા નહીં હોવા છતાં વીમા કંપનીઓ દાવા નકારે છે. ગ્રાહક કમિશનોએ વીમા કંપનીઓને લપડાક લગાવતો ચુકાદો આપ્યો છે.
જેમાં સમગ્ર કેસમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને કેન્સર પીડિત સીનીયર સીટીઝન દર્દી અજય નગીનદાસ દોશી કે જેઓ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની લી. ની મેડીક્લેઇમ પોલીસી વર્ષોથી ધરાવે છે. અને સમ ઇન્સ્યોર્ડ 5 લાખનો હતો. તેઓને બ્લડ કેન્સરના એક પ્રકાર Multiple Myeloma (મલ્ટીપલ માયલોમાં) હોવાથી હૉસ્પિટલના સક્ષમ અને નિષ્ણાંત ડોક્ટર પાસેથી મેડીકલ ટ્રીટમેન્ટ હેતુ અલગ અલગ નક્કી કરેલ 5 દિવસોએ Darzalex_ઇન્જેક્શન 2020માં મેળવેલા. જેના માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં હોવાનું ડોક્ટરે જણાવતા દિવસ દરમિયાન icu માં રાખી ડે કેર સિસ્ટમ પ્રમાણે સારવાર આપી. ઇન્જેક્શનના અલગ અલગ મેડીકલ ખર્ચાઓ પરત મેળવવા મેડીક્લેઇમ ફોર્મ ભરી તમામ મેડીકલ પેપર્સ અને બીલો સબમીટ કરેલા હતા.
જો કે વીમા કંપનીએ ક્લેઇમ પ્રોસેસ કરીને પોલીસીધારક દર્દી 24 કલાક હોસ્પિટલનો સ્ટે નહીં હોવાથી દાવાની રકમ ફગાવી દીધી હતી. 24 કલાક હોસ્પિટલની આવશ્યક્તા નહીં હોવા છતાં વીમા કંપનીએ ઉપજાવી કાઢેલાં કારણોસર દાવો નકારતા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે વીમા કંપની વિરૂધ્ધ અલગ અલગ ત્રણ ફરીયાદો દાખલ કરી દાદ માગેલ. જે કેસમાં વીમા કંપનીનો દાવો નકારવાનો જવાબ, બચાવ, કારણ અને નિર્ણય કાયદેસર ટકવાપાત્ર નહી હોવાની ગ્રાહક સુરક્ષા પ્રમુખ મુકેશ પરીખની દલીલો ગ્રાહક કમિશને ગ્રાહ્ય રાખતા બે વર્ષ બાદ અરજદારને ન્યાય મળ્યો. તો આવા અન્ય કેટલાક કેસમાં પણ કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યુ હતું.
અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ કે.બી. ગુજરાતી અને સભ્ય વાય. ટી. મહેતાએ ફરીયાદ અરજીમાં દાદ અંશતઃ મંજુર કરી ત્રણેય કેસમાં દાવાની રકમમાં એક કેસમાં રૂ.32,919, બીજા કેસમાં રૂ.29,824 અને ત્રીજા કેસમાં રૂ.13,952 વાર્ષિક 8 ટકાના વ્યાજ સાથે એક મહિનામાં ચુકવી આપવા હુકમ કર્યો છે. જો એક મહિનામાં રકમ ન ચૂકવવામાં આવે તો વધુ 1 ટકાનું વ્યાજ ચુકવવા આદેશ આપ્યો છે. આ સાથે ખર્ચના કેસ દીઠ રૂ.3,000 અલગથી ચુકવવા હુકમ કર્યો છે. જે ચુકાદાને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ પણ આવકાર્યો છે.
સમગ્ર કેસમાં ગ્રાહક કમિશને મહત્વનું અવલોકન કરેલ કે મેડીકલ ટેકનોલોજી એડવાન્સ હોવાથી મોર્ડન મેથડ ની ટ્રીટમેન્ટ પ્રોસીજર ઝડપી અને અસરકારક બની છે. ઇરડાએ મેડીકલ પ્રોફેશનમાં અનેક એક્સપર્ટ ઓપીનિયન લીધા છે. અને યોગ્ય પ્રોસેસ કર્યા બાદ ઇરડાએ નવી ગાઇડ લાઇન બહાર પાડી છે. અને ચોક્કસ નિયમો ફ્રેમ કરી ડે કેર ટ્રીટમેન્ટના લીસ્ટમાં સમાવેશ કર્યો છે. આથી 24 કલાક હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી. જેથી દાવો નકારવાનું જસ્ટીફીકેશન નથી.
વીમા કંપનીએ મેડીકલ ટ્રીટમેન્ટને ચેલેન્જ કરતા પુરાવાઓ રજુ નથી કર્યા. જે બાબતોને ધ્યાને રાખી ગ્રાહક કમિશને ગ્રાહક તરફી ચુકાદો આપતા વીમા કંપનીને લપડાક આપી હતી. જે કેસ માંથી અન્ય લોકોએ પણ ક્યાંક શીખ લેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જેથી અન્ય કોઈને હેરાન થવાનો વારો ન આવે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…