Weather Breaking News: ગુજરાત સહિત દેશના 13 રાજ્યોમાં મેઘરાજાનો કહેર, IMDનું હાઈ એલર્ટ, ઝારખંડમાં ફ્લેશ ફ્લડનો ખતરો
ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિતના વિસ્તારોમાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડનું જોખમ વધ્યું છે. જાણો ગુજરાત સહિત બીજા કયા રાજ્યો માટે શું છે આગાહી.

દેશભરમાં મોન્સૂન ફરી એકવાર જોર પકડી રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં દેશના 13થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન જ્યારે ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત માટે પણ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યના કુલ 20 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ખેડા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના છ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સવારે 10 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

દિલ્હી-એનસીઆરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 28 અને 29 જુલાઈ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં પણ આગામી ચાર દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં સતત વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ફ્લેશ ફ્લડનું જોખમ વ્યક્ત કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ બંધ થવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં 55થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે માછીમારોને 29 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી કેટલાક દિવસો સુધી મોન્સૂન સક્રિય રહેવાની શક્યતા હોવાથી દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. (Image Credit source: Social Media)
આ પણ વાંચો: 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.9 ઈંચ વરસાદ
