પાકિસ્તાનમાં ફરી વાગી રહ્યા છે તખ્તાપલટના ભણકારા…મુનીર બની શકે છે રાષ્ટ્રપતિ અને ‘ટ્રોફી ચોર’ મોહસીન નક્વી હાઈબ્રિડ PM- વાંચો
હાલમાં પાકિસ્તાન તેને ખુદ અંજામ આપેલા વિદ્રોહ અને પોતાની જ આતંકની આગમાં સળગી રહ્યુ છે. તો બીજી તરફ આસિમ મુનીર એક મોટા ગેમ પ્લાનને અંજામ આપવાની તૈયારીમાં છે. ઈસ્લામાબાદની સડકો ને સીલ કરી દેવામાં આવી છે. દરેક નાકા પર કન્ટેનર ખડા કરી દેવાયા છે અને સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે ફરીથી એક બહુ મોટા તખ્તાપલટના ભણકારા વાગી રહ્યા રહ્યા છે.

પાકિસ્તાની ફોજના પૂર્વ મેજર અને પત્રકાર આદિલ રાજાથી લઈને અનેક સૂત્ર એ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે. તેના માટે સિસ્ટમ નિષ્ફળ થવી અને એક હાઈબ્રિડ સિસ્ટમવાળી સરકાર લાવવાનો નેરેટિવ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે.
આ અંતર્ગત એ કહેવાય રહ્યુ છે કે વર્તમાન રાષ્ટ્રપતિ આસીફ અલી જરદારીને પાકિસ્તાનમાંથી સુરક્ષિત બહાર નીકળી જવાની ઓફર આપવામાં આવી છે. તો વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. મોહસીન નક્વીને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનાવી શકાય છે.
પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો જ્યારથી પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યો તે વર્ષ 1947 થી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનનો ઈતિહાસ રહ્યો છે… કે કોઈપણ ચૂંટાયેલા પ્રધાનમંત્રી 5 વર્ષનો કાર્યકાળ પુરો નથી કરી શક્યા અને હવે ફરી એકવાર એ જ ઈતિહાસનું પુનરાવર્તન થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પાકિસ્તાનમાં કહેવાતા લોકતંત્રનું મહોરુ સંપૂર્ણપણે ઉતરી ચુક્યુ છે અને પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ થઈ ગયો છે. હવે પાકિસ્તાનની કમાન સંપૂર્ણપણે ફોજના હાથમાં એટલે કે મુનીરના હાથમાં જવાની છે. મુનીરની મનમાની શરૂ પણ થઈ ગઈ છે.
શુ પાકિસ્તાનમાં તખ્તાપલટ થવા જઈ રહ્યો છે?
પાકિસ્તાનના ફોજી જનરલના હાથમાં જ્યારે પણ પાવર આવે છે ત્યારે તેની ઈચ્છા અયુબ ખાન બનવાની હોય છે અથવા તો જનરલ જિયા-ઉલ-હક, કે મુશર્રફ બનવાની હોય છે. હવે ફિલ્ડમાર્શલ મુનીર ત્યા સુધી તો પહોંચી જ ગયા છે. હવે તે ઈચ્છે છે કે તે તમામ પાવર તેના હાથમાં લઈ લે, ચાહે તેને એના માટે પાકિસ્તાનના સંવિધાનમાં ફેરફાર કરવા પડે તો એ પણ કરવાની તૈયારીઓ તેણે કરી લીધી છે.
પાકિસ્તાનના સંવિધાનમાં એવા ફેરફાર કરીને મુનીર જીવે ત્યાં સુધી ન માત્ર ફૌજી વર્દી પહેરી શકે પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ બની રહેવા માગે છે. પાકિસ્તાનની રાજનીતિ પર સારી એવી જાણકારી રાખનારા લોકોનું પણ કહેવુ છે કે પાકિસ્તાનની અંદર એક અજીબ પ્રકારની ઉથલપાથલ જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પટલ પર પોતાની છબી ચમકાવવામાં લાગેલુ છે, જેની આગેવાની ખુદ મુનીર કરી રહ્યા છે. તેની સાથોસાથ ડોમેસ્ટિક રાજનીતિની અંદર પણ ઉથલપાથલ મચેલી છે.
ત્યારે થિયરી ચાલી રહી છે કે ફિલ્ડમાર્શલ અસીમ મુનીર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે અને ‘ટ્રોફીચોર’ મોહસીન નક્વી જે મુનીરના ઘણા નિકટના ગણાય છે અને પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે તેને પ્રધાનમંત્રી નિયુક્ત કરી શકે છે. જો કે સવાલ એ પણ છે કે શું આ શક્ય બનશે? આ સવાલ એટલા માટે કારણ કે આના માટે પાકિસ્તાનની નેશનલ એેસેમ્બલીમાંથી પણ રાજકીય પીઠબળ આસીમ મુનીર પાસે હોવુ જોઈએ. તેના માટે એવા કયાસ લગાવાઈ રહ્યા છે કે ઈમરાન ખાનને જેલમુક્ત કરી શકે છે અને PTI (પાકિસ્તાન તહેરિકે ઈન્સાફ) ના સાંસદો મુનીર નું સમર્થન કરે અને તેના સંવિધાનમાં એ પ્રકારનો એમેન્ડમેન્ટ લાવવામાં આવે એ તમામ અટકળો ચાલી રહી છે.
અત્યારે પણ પાકિસ્તાનમાં જે સત્તા પર છે તેને હાઈબ્રિડ નિઝામ કહેવાઈ રહ્યા છે. ખુદ પાકિસ્તાનની અંદર પણ ચર્ચાઓમાં તેમને હાઈબ્રિડ નિઝામ કહેવામાં આવી રહ્યા છે. જેનો અર્થ છે ચૂંટાયેલા પ્રતિનિધિ ખરા પરંતુ પાછળથી તે તમામનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાનના સેના મુખ્યાલયથી સંચાલિત થતુ હોય છે.
શું પાકિસ્તાનના બે ટૂકડા થવા જઈ રહ્યા છે?
પાકિસ્તાનના તખ્તાપલટની ચર્ચા વચ્ચે બીજી જે અટકળો ચાલી રહી છે તે એ છે કે પાકિસ્તાનના બે ટૂકડા થવા જઈ રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્ખ્વાહ પ્રાંતના સ્વાત જિલ્લામાં આત્મઘાતી હુમલાથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે પાકિસ્તાનના બે ટૂકડા થવા જઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સિસ્ટમ ફેલ થઈ ચુકી છે. મુનીરનો કહેર જ પાકિસ્તાન માટે અસહ્ય બની રહ્યો છે. ખૈબર પખ્તુન્ખ્વાહ (KPK) સ્વાતમાં થયેલો આ હુમલો બતાવે છે કે પાકિસ્તાને જે આતંક ને પાલ્યો પોષ્યો હવે એ જ આતંક પાકિસ્તાન માથે તાંડવ કરી રહ્યો છે.
હાલ પાકિસ્તાન તેણે ઉભા કરેલા આંતરિક આતંકવાદ અને પીઓકે માં વધી રહેલા જનાક્રોષ બંનેનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનની ડેમોગ્રાફી સમજીએ તો ત્યાં 4 પ્રાંત છે અને ચારેતરફથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાયેલી છે. તેનો પુરાવો ખૈબર પખ્તુન્ખ્વાહ પ્રાતના સ્વાત જિલ્લામાં થયેલો આત્મઘાતી હુમલો છે.
POK ના લોકોએ મુનીર અને શરીફ સામે બળવો પોકારી ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) માં કથિત ચૂંટણીઓને લઈને લોકોએ આસીમ મુનીર અને શાહબાઝ શરીફ સરકાર સામે બળવો પોકારી દીધો છે અને POK ના લોકો આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. તો બલુચિસ્તાનમાં પણ વિદ્રોહની આગ ભભુકી ઉઠી છે. POK અને બલુચિસ્તાનમાં મુનીર કહેર વરસાવી રહ્યો છે અને લોકો આત્મઘાતી લડાઈ માટે માથા પર કફન બાંધીને નીકળી પડ્યા છે.
KPK માં થયેલા આત્મઘાતી હુમલામાં 5 પોલીસકર્મી સહિત 15 ના મોત
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખૈબર પખ્તુન્ખ્વાહમાં થયેલા આત્મઘાતી હુમલાએ મુનીરની સાન ઠેકાણે લાવી દીધી છે. KPK ના સ્વાત જિલ્લામાં કબલ પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટની બહાર થયેલા આત્મઘાતી હુમલાએ સૌને ચોંકાવી દીધા છે. જે પ્રકારે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે તે પ્રમાણે હુમલો એક શાંતિ રેલી દરમિયાન થયો હતો. તે સમયે ત્યાં પોલીસકર્મીની સાથે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પણ હાજર હતા. આ વિસ્ફોટમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જેમા 5 પોલીસકર્મી પણ સામેલ છે. વિસ્ફોટ બાદ લોકો જીવ બચાવવા આમતેમ ભાગતા જોવા મળ્યા હતા.
વિસ્ફોટ થયો એ સમયે શાંતિ રેલી પોલીસ સ્ટેશન નજીક થી જ પસાર થઈ રહી હતી. એ સમયે જ એક આત્મઘાતી હુમલાખોર મુખ્ય દરવાજા પાસે પહોંચી ગયો અને ખુદને બોંબથી ઉડાડી દીધો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો આસપાસમાં રહેલી ગાડીઓ અને ઈમારતોને પણ નુકસાન પહોંચ્યુ છે. બસ થોડી સેકન્ડોની અંદર જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે અત્યાર સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. પરંતુ તેની પાછળ TTP નો હાથ હોવાની આશંકા છે.
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી પ્રાંત ખૈબર પખ્તુન્ખ્વાહ માં (KPK) હાલમાં જ થયેલા હુમલાના તાર તહેરિકે તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડાયેલા છે. એવામાં આ હુમલાનો ઉદ્દેશ્ય પોલીસ ચોકીઓ, સુરક્ષા મુખ્યાલયો અને શાંતિ રેલીઓને નિશાન બનાવી પાકિસ્તાનને હચમચાવવાનો છે.
ખૈબર પખ્તુન્ખ્વાહની બોર્ડર પશ્ચિમ અને ઉત્તર માં અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. આ આંતરરાષ્ટ્રીય સરહદને ડુરંડ લાઈન તરીકે ઓળખાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ જંગ એ જ વાતને લઈને છે. પાકિસ્તાનનો દાવો છે કે તહેરિકે તાલિબાન પાકિસ્તાન એટલે કે TTP ના મારફતે અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવે છે. જ્યારે અફઘાનિસ્તાનનું કહેવુ છે કે જે આતંકને પાકિસ્તાને પાળ્યો પોષ્યો, તે જ હવે તેના માટે ભસ્માસુર બની રહ્યો છે.
