Breaking News : 45 હજાર મેટ્રિક ટન LPG ગેસ ભરેલ જહાજ શિવાલિક, હોર્મુઝ સ્ટ્રેટથી નીકળીને કચ્છના મુન્દ્રા બંદરે લાંગર્યું, રાંધણગેસની સમસ્યામાં મળશે રાહત
‘શિવાલિક’ જહાજ લગભગ 44 હજારથી 45 હજાર મેટ્રિક ટન LPG ગેસ લઈને આવ્યું છે. આ જથ્થામાંથી આશરે 24 હજાર મેટ્રિક ટન LPG મેંગલોર તરફ મોકલવામાં આવશે, જ્યારે લગભગ 20 હજાર મેટ્રિક ટન ગેસ મુન્દ્રા પોર્ટ પર ઉતારવામાં આવશે. આ જથ્થાથી અંદાજે 30 લાખથી વધુ ગેસ સિલિન્ડર ભરી શકાય તેટલો પુરવઠો ઉપલબ્ધ થશે.

ઈરાક અને ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની સ્થિતિને કારણે દેશમાં સર્જાયેલ ક્રુડ- ગેસની ભારે અછત વચ્ચે ગુજરાતમાંથી સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર, ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટથી મોટી માત્રામાં LPG ગેસ લઈને ‘શિવાલિક’ નામનું LPG કેરિયર જહાજ પહોંચ્યું છે, જેના કારણે ગેસ સપ્લાયમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક માહિતી મુજબ, ‘શિવાલિક’ જહાજ લગભગ 44 હજારથી 45 હજાર મેટ્રિક ટન LPG ગેસ લઈને આવ્યું છે. આ જથ્થામાંથી આશરે 24 હજાર મેટ્રિક ટન LPG મેંગલોર તરફ મોકલવામાં આવશે, જ્યારે લગભગ 20 હજાર મેટ્રિક ટન ગેસ મુન્દ્રા પોર્ટ પર ઉતારવામાં આવશે. આ જથ્થાથી અંદાજે 30 લાખથી વધુ ગેસ સિલિન્ડર ભરી શકાય તેટલો પુરવઠો ઉપલબ્ધ થશે.
યુદ્ધને પગલે, દેશમાં સર્જાયેલ ગેસ સંકટને ધ્યાનમાં રાખીને આ જહાજનું ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટથી કચ્છના મુન્દ્રા બંદરે આગમન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ જથ્થા બાદ ગેસ સિલિન્ડરની સપ્લાય ચેઇન ફરી ગતિમાન બનવાની શક્યતા છે. ઘરેલું વપરાશ માટેના રાંધણ ગેસની અછત દૂર થવાની સાથે ગેસના અભાવે અસરગ્રસ્ત થયેલ હોટેલ અને ફૂડ ઉદ્યોગને પણ રાહત મળશે.
‘શિવાલિક’ જહાજ 7 માર્ચે કતારના રાસ લફાન પોર્ટ પરથી રવાના થયું હતું. 14 માર્ચે તે સઘન સુરક્ષા વચ્ચે હોર્મુઝ ખાડી પાર કરીને આગળ વધ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ આ LPG ટેન્કરને એસ્કોર્ટ પણ આપ્યું હતું.
આ જહાજની લંબાઈ લગભગ 225 મીટર અને પહોળાઈ 36 મીટરની છે, જ્યારે તેની સરેરાશ ગતિ લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હાલ આ જહાજના આગમનને કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠાની સ્થિતિ સુધરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.