Breaking News : ઈરાન પાસેથી અમેરિકાને શું જોઈતું હતું ? શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ ? 5 મુદ્દાઓમાં જાણો ઈનસાઈડ સ્ટોરી
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી શાંતિ મંત્રણા પડી ભાંગી છે. અમેરિકાની પ્રાથમિક શરત માનવાનો ઈરાને અસ્વીકાર કર્યો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે ઈરાની પક્ષ તરફથી કોઈ નક્કર પ્રતિબદ્ધતા નથી.

ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાટોધાટો પડી ભાંગતા શું ફરીથી બન્ને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળશે ? આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ જ હકારાત્મક પરિણામ વિના શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પત્રકારોને જણાવ્યું હતું કે, ઈરાને વોશિંગ્ટનની શરતનો સ્વીકાર કરવા ઇનકાર કર્યો હતો. આખરે, ઈરાને કેમ વોશિગ્ટનની શરત ના સ્વીકારી, કારણ શું હતું? જાણો ઈન સાઈડ સ્ટોરી.
આખી દુનિયા જાણે છે કે, અમેરિકા ઈચ્છે કે, અમેરિકાએ શરૂઆતથી જ ઈરાનના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાનો એક જ ઉદ્દેશ્ય છે કે, કોઈપણ રીતે, ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં અસમર્થ રહે. હકીકતમાં, આ એકમાત્ર ઉદ્દેશ્ય જ શાંતિ મંત્રણાઓની નિષ્ફળતા પાછળનું મૂળ કારણ હોવાનું સામે આવ્યું છે.
મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય
યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો ના બનાવે. આજે રવિવારને12 એપ્રિલના વહેલી સવારે ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં બોલતા, વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન પાસેથી સ્પષ્ટ અને નક્કર ખાતરી માંગે છે કે તેઓ પરમાણુ શસ્ત્રો નહીં બનાવે અને એવા સંસાધનો પ્રાપ્ત પણ નહીં કરે જે પરમાણુ શસ્ત્રોને ઝડપથી વિકસાવવા સક્ષમ બનાવે.
- અમેરિકા પરમાણુ શસ્ત્રો પર નજર રાખે છે.
- ભવિષ્યમાં ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાનું ટાળે તેવી માંગ.
- ઈરાન પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન તરફ દોરી જતા કોઈપણ માર્ગથી કાયમી ધોરણે દૂર રહે તેવી માંગ.
- અમેરિકાને ઈરાન પક્ષ તરફથી કોઈ નક્કર અથવા વિશ્વસનીય પ્રતિબદ્ધતા દેખાઈ નહીં.
- ઈરાને અમેરિકા દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો.
યુદ્ધમાં પરમાણુ સંવર્ધન કેન્દ્રોનો નાશ કરાયો
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છે, અને વાટાઘાટો આ ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાન દ્વારા સંચાલિત પરમાણુ સંવર્ધન કેન્દ્રોને, મોટાભાગે હવાઈ હુમલાઓ કરીને, તોડી પાડવામાં આવ્યા છે. આમ છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ હજુ પણ ચિંતિત છે કે શું ઇરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી દૂર રહેવાની લાંબા ગાળાની નીતિનું પાલન કરશે.
પરમાણુ શસ્ત્રો ત્યજી દેવાની માંગ
વેન્સે જણાવ્યું હતું કે, વાસ્તવિક પ્રશ્ન ફક્ત વર્તમાન કે આગામી થોડા વર્ષોનો નથી, પરંતુ શું ઇરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાના માર્ગથી કાયમ માટે દૂર રહેશે તે છે. તેમણે સ્વીકાર્યું કે, અત્યાર સુધી, યુનાઇટેડ સ્ટેટ્સે ઇરાન તરફથી આવી કોઈ નક્કર અને વિશ્વસનીય પ્રતિબદ્ધતા જોઈ નથી. તેમણે ટિપ્પણી કરી, “પ્રશ્ન એ છે કે શું આપણે ઇરાનીઓ તરફથી પરમાણુ શસ્ત્રો ન વિકસાવવાની કોઈ નક્કર પ્રતિબદ્ધતા જોઈ શકીએ છીએ – ફક્ત હમણાં માટે નહીં, ફક્ત બે વર્ષ પછી નહીં, પરંતુ લાંબા ગાળા માટે? અત્યાર સુધી, આપણે આ પ્રતિબદ્ધતા જોઈ નથી, પરંતુ અમને આશા છે કે આપણે કરીશું.”
વિશ્વની નજર યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચેની આ શાંતિ વાટાઘાટો પર ટકેલી હતી, કારણ કે તેમના પરિણામ ફક્ત પશ્ચિમ એશિયા જ નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા પર પણ અસર કરશે. એક તરફ, યુનાઇટેડ સ્ટેટ્સ તેની કડક શરતો પર અડગ રહે છે; બીજી તરફ, ઈરાને વોશિંગ્ટનની શરતો સ્વીકારવાનો ઇનકાર કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. પરિણામે, હવે એવી નવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તણાવ વધુ વધવાની તૈયારીમાં છે.