IPL : KL રાહુલ પોતે LSG છોડવા માંગે છે? ટીમના માલિકને રિટેન્શન પર કોઈ જવાબ ન આપ્યો
કેએલ રાહુલ છેલ્લી 3 સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો, જ્યાં તેના નેતૃત્વમાં ટીમ પ્રથમ 2 સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ છેલ્લી સિઝનમાં ફ્રેન્ચાઈઝીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમાં પણ રાહુલનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું, જેના પછી તેના પર સવાલો ઉઠી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ માટે આ મેદાનની અંદર કે બહાર સમય સારો નથી જઈ રહ્યો. ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. તે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નિષ્ફળ ગયો હતો જ્યારે તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ બધા સિવાય, એવા સતત અહેવાલો છે કે IPL ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સ તેને રિટેન નહીં કરે.

રાહુલ 3 વર્ષથી LSGનો કેપ્ટન હતો. હવે લગભગ નિશ્ચિત છે કે રાહુલ આ વખતે મેગા ઓક્શનમાં ઉતરશે, પરંતુ તે પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેન્ચાઈઝીના નિર્ણય પહેલા જ રાહુલે LSG મેનેજમેન્ટ તરફથી રિટેન્શનને લઈને કોઈ પ્રતિબદ્ધતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ESPN-Cricinfoના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલનું LSGથી અલગ થવું હવે લગભગ નિશ્ચિત છે. આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા રાહુલે ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોયન્કા સાથે મુલાકાત કરી હતી, જેમાં રિટેન્શન પર ચર્ચા થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ મીટિંગ દરમિયાન રાહુલને પૂછવામાં આવ્યું કે જો તેને રિટેન કરવાનો નિર્ણય લેવામાં આવે તો શું તે તેને સ્વીકારશે, પરંતુ સ્ટાર બેટ્સમેને આ અંગે કોઈ વચન આપ્યું ન હતું. મતલબ કે રાહુલે પણ સંકેત આપ્યો હતો કે તે ફ્રેન્ચાઈઝી છોડવા તૈયાર છે.

2022માં લખનૌ સુપર જાયન્ટ્સની ડેબ્યૂ સિઝનથી રાહુલ ટીમનો કેપ્ટન હતો. આ દરમિયાન લખનૌ ટીમે પ્રથમ અને બીજી સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ છેલ્લી સિઝનમાં તેમ કરી શક્યું ન હતું. જો કે આ ગત સિઝનમાં રાહુલની કેપ્ટનશિપ અને ખાસ કરીને તેની ધીમી બેટિંગ ટીકાના કેન્દ્રમાં રહી હતી.

છેલ્લી સિઝનમાં જ ટીમની કારમી હાર બાદ ફ્રેન્ચાઈઝીના માલિક ગોએન્કાએ ખુલ્લા મેદાનમાં રાહુલને ઠપકો આપ્યો હતો, જેના પછી તેમના અલગ થવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે ઓગસ્ટમાં જ ગોએન્કા અને રાહુલની કોલકાતામાં મુલાકાત થઈ હતી.

આ બધા સિવાય, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને નવા મેન્ટર ઝહીર ખાને હાલમાં જ રાહુલના પ્રદર્શન પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં તેની ધીમી બેટિંગની ટીમના પ્રદર્શન પર ઘણી મેચોમાં અસર જોવા મળી હતી. આ રિપોર્ટના આધારે રાહુલને ફ્રેન્ચાઈઝીમાંથી મુક્ત કરવાની વાતો સામે આવી રહી છે. છેલ્લી બે સિઝનના પ્રદર્શનને જોતા એ સ્પષ્ટ છે કે લખનૌનો પ્રથમ રિટેન્શન વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર નિકોલસ પૂરન હશે. રિટેન્શન જાહેર કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. (All Photo Credit : PTI / AFP)
