Chhotaudepur Bhangoria Mela : આદિવાસીની સંસ્કૃતિ સાચવીને બેઠો છે ‘ભંગોરિયાનો મેળો’, જુઓ તેના ફોટોની એક ઝલક
Chhotaudepur Bhangoria Mela : સંસ્કૃતના મહાકવિ કાલિદાસની જાણીતી ઉક્તિ છે કે, “ઉત્સવ પ્રિયા ખલુ જના:” જેનો અર્થ છે કે માનવ સમાજ ઉત્સવ પ્રિય છે અને દરેક તહેવારને આનંદથી માણે છે. જોકે આજના વ્યસ્ત જીવનમાં તહેવાર ઉજવવા દુર્લભ થઈ જાય છે ત્યારે આદિવાસીઓ પોતાના પરંપરાગત તહેવારો આનંદથી માણે છે.

Chhotaudepur Bhangoria Mela : આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર અતિ મહત્વનો ગણાય છે. તેઓની ઘણી પરંપરાઓ આ રંગોત્સવના પર્વ સાથે જોડાયેલી છે. આ તહેવારને માણવા આદિવાસીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે.

હોળીના પંદર દિવસ પહેલાથી લોકો હોળી અને ધુળેટીના તહેવાર ની ઉજવણી માટે તૈયારી કરતા હોય છે. તેમાં સૌથી પ્રસિદ્ધ છે ભંગોરિયાનો મેળો. ભંગોરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે.

પહેલાના જમાનામાં ભીલ આદિવાસી રાજાઓ પોતાની પ્રજા માટે આવી હાટની વ્યવસ્થા કરતા હતા. ત્યાર બાદ આની લોકપ્રિયતા વધતા આદિવાસીઓના વિવિધ ગામોમાં ભોગર્યા કે ભંગોરિયા હાટ મેળા યોજાય છે.

આદિવાસી વનવાસી પ્રજાની બહુલતા ધરાવતા છોટા ઉટેપુર જિલ્લામાં હોળી ધુળેટી નજીક આવતા આદિવાસી સંસ્કૃતિના અવનવા રંગો જોવા મળે છે. આદિવાસી લોકોમાં ઉજવાતો હોળીનો તહેવાર ફક્ત દેશ જ નહિ દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો સૈકાઓથી પોતાની આગવી સંસ્કૃતિ અને વિરાસતને સાચવી રાખી છે અને તેને કાયમી જાળવી રાખવા માટે ભંગોરીયા મેળા યોજતા હોય છે.

એક સમાન વસ્ત્રો આદિવાસીઓના ફળિયા અને વિશેષ જાતિની ઓળખ હોય છે તેથી તેઓ એકસરખા વસ્ત્રો પહેરીને આવવાનું પસંદ કરે છે. આ મેળામાં કેટલાક યુવકો પરંપરાગત રામ ઢોલ અને પિહા વગાડતા જોવા મળે છે.

ખાસ કરીને જે યુવતી જે ચાંદીના ઘરેણાં પહેરીને આવતી હોય છે .તેમાં ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, આમ તમામ આભૂષણો ચાંદીના જ હોય છે.