Budget 2025 : શું આવકવેરા સ્લેબ વધશે ? પગારદાર વર્ગને બજેટમાં આવી છે અપેક્ષા
જે લોકો છેલ્લા 10 વર્ષથી આવકવેરો ભરી રહ્યા છે તેઓ સારી રીતે જાણતા હશે કે અગાઉ ITR ફાઇલ કરવું અને સબમિટ કરવું એટલું સરળ નહોતું. પહેલા, ITR ફાઇલ કરવા માટે આવકવેરા કચેરીમાં લાઇનમાં ઉભા રહેવું પડતું હતું અને પછી ITR જમા કરાવવા માટે બેંકમાં લાઇનમાં ઉભા રહેવું પડતું હતું.


ડિજિટલ ઇન્ડિયા સાથે, આવકવેરા ભરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે, હવે વ્યક્તિ ઘરેથી ITR ફાઇલ કરી શકે છે અને પોતાની ટેક્સની રકમ પણ ઘરે બેઠા જ બેંકમાં જમા કરાવી શકે છે.

સરકારે 2024 ના બજેટમાં નવી કર વ્યવસ્થા રજૂ કરીને 7 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત જાહેર હતી. હવે જોવાનું એ રહે છે કે, સરકાર 2025માં આવકવેરામાં શું ફેરફાર કરી શકે છે.

2024માં લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓને આવકવેરામાં મોટી રાહત આપી હતી, જેમાં 7 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવામાં આવી હતી.

આ સાથે, 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા અને 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ ચૂકવવાની વાત કરવામાં આવી હતી. આ ફેરફાર સાથે, પગારદાર કર્મચારીઓ વાર્ષિક 17,500 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકશે.

નવા ટેક્સ સ્લેબમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી. આ સાથે, ફેમિલી પેન્શન પર વાર્ષિક 15,000 રૂપિયાની મુક્તિ વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. આ કપાતમાં વધારાને કારણે, પગાર આધારિત અને પેન્શન આધારિત કરદાતાઓને ઘણી રાહત મળી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 2025 ના કેન્દ્રીય બજેટમાં એક ડગલું આગળ વધી શકે છે અને નવી કર વ્યવસ્થામાં 10 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી શકે છે. આના દ્વારા, દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે.

































































