IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ નહીં રમે હાર્દિક પંડ્યા, આ છે મોટું કારણ
હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે. MI દ્વારા હાર્દિકને રિટેન કરવામાં આવ્યો છે, અને તે ટીમનો કેપ્ટન પણ છે. છતાં તે આ સિઝનની પ્રથમ મેચ રમશે નહીં. આવું કેમ થયું? જાણો આ અહેવાલમાં.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે. છતાં તે 18મી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમે. હાર્દિક પંડ્યા પર ગત સિઝનમાં લાગેલા દંડના કારણે આગામી સિઝની પહેલી મેચમાં પ્રતિબંધ લાગ્યો છે.

સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી. આ મેચમાં કેપ્ટન હાર્દિક સ્લો ઓવર રેટનો શિકાર બન્યો હતો. IPL 2024માં હાર્દિક પર આ ત્રીજો સ્લો ઓવર રેટ હતો, જેના કારણે તેને 30 લાખ રૂપિયાના દંડ સાથે 1 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

IPLના નિયમ અનુસાર, જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે, તો કેપ્ટનને પહેલા 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત આ રકમ વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે અને ત્રીજી વખત જો ટીમ સ્લો ઓવર રેટનો શિકાર બને છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.

હવે સવાલ એ છે કે જો હાર્દિક પહેલી મેચમાં નહીં હોય તો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આના દાવેદાર છે. પરંતુ, ટીમ મેનેજમેન્ટની નજરમાં સૂર્યકુમાર યાદવ કદાચ આ રેસમાં સૌથી આગળ હશે.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે હાર્દિક પંડ્યા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નામ પણ છે. મુંબઈએ બુમરાહને 18 કરોડમાં, સૂર્યા 16.35 કરોડમાં, રોહિતને 16.30 કરોડ અને તિલક વર્માને 8 કરોડમાં રિટેન કર્યા છે. (All Photo Credit : PTI)

































































