Ahmedabad: વરસાદમાં મુસીબત બનતા માર્ગ અંગે સત્તાધિકારીઓએ કહ્યું કે ‘સોનાના રોડની આશા ન રાખો’
Ahmedabad:મેટ્રો સિટીમાં માર્ગ મુસીબત બનતા જાય છે. , અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે આ અંગે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો હતો તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોનાના રોડ હોય.
Monsoon 2022: અમદાવાદમાં વરસેલા વરસાદના (Ahmedabad Rain) કારણે શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા. જોકે આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વરસાદ સમયે સ્માર્ટ સિટી એવા અમદાવાદની આવી બદતર હાલત કેમ થાય છે? એ પ્રશ્ન પૂછવામાં આવતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો. તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોના ના રોડ હોય. જોકે અમદાવાદની કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને સોનાના રોડ નહીં પરંતુ ખાડા વિનાના અને મુશ્કેલી ન પડે તેવા રોડ જોઈએ એ બાબત આ નેતાઓએ સમજવી પડશે. અમદાવાદમાં પડેલા વરસાદની વિગતો આપતા (AMC) અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે શહેરમાં સૌથી વધુ વરસાદ ઉસમાનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં 9 ઈંચ વરસાદ અને શહેરમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે હાલ સુધીનો સૌથી વધુ વરસાદ છે. તેઓએ એવું પણ જણાવ્યું કે હવે ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. જેથી આખા મહિનાનો વરસાદ માત્ર ત્રણ કલાકમાં પડી જાય છે.
વરસાદના કારણે અમદાવાદના મીઠાખળી અંડર પાસ, અખબાર નગર અંડર પાસ, શાહીબાગ અંડરપાસ તબક્કાવાર બંધ કરવાની ફરજ પડી હતી. વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ જેટલા પાણીની આવકના કારણે ખોલવામાં આવ્યા હતા. જોકે શહેરમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા મામલે વોટર કમિટિના ચેરમેન જતીન પટેલે વિગતો આપતા આપતા બફાટ કરી દીધો હતો. લોકો પાસે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના બજેટ વપરાય છે, છતાં સ્માર્ટ સિટીની આવી બદતર હાલત કેમ તેવું પૂછતાં તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટી એટલે શું સમજવાની જરૂર છે.
સ્માર્ટ સિટીના 10 અલગ અલગ પેરામીટર છે. સ્માર્ટ સિટીની વ્ચાખ્યા એ નથી કે સોનાના રોડ હોય. અમદાવાદમાં આશા રાખીએ છીએ તેના કરતાં ચાર ગણી વસ્તી દર વર્ષે વધે છે. સાથે જ તેઓએ એમ પણ જણાવી દીધું કે ભારે વરસાદ જ્યારે શહેરમાં પડે છે તે વરસાદના વિરામ બાદ ચાર કલાકમાં પાણી ઉતરતા થાય છે. તેનો મતલબ એ પણ થયો કે વરસાદના વિરામ પછી ચાર કલાક તો લોકોએ મુશ્કેલી વેઠવી જ પડશે.
મહત્વનુ છે કે ચામુંડા બ્રિજ વિસ્તારમાં વરસાદની આડમાં છોડવામાં આવતા કેમિકલ પાણી મામલે તેઓએ જણાવ્યું કે કેમિકલ પાણી નિકાલમાં 1200 કે 1500 કનેક્શન કાપ્યા છે અને રહી ગયા હશે તો કાપી નખાશે. પહેલા કરતા હાલ આવા કનેક્શન ઓછા છે અને હવે હશે તે દૂર કરાશે. વસ્ત્રાલ તળાવમાં આજે કેમિકલ પાણી છોડાયા નથી તેવું નિવેદન આપી જો હશે તો કાઢીશું કાર્યવાહી કરીશું તેમ પણ જણાવ્યું.
ફાયર બ્રિગેડને મળ્યા 17 કોલ
આજે પડેલા વરસાદને પગલે અમદાવાદ ફાયર બ્રિગેડને કુલ 17 કોલ મળ્યા હતા. જેમાં 4 કોલ મકાન ધસી પડવાના, 3 ગાડી ખાડામાં ઉતરી પડવાના 7 કોલ શોર્ટ સર્કિટના 2 કોલ કેનાલમાં ગાય ફસાઈ જવાના અને 1 કોલ ઝાડ પડવાનો નોંધાયો હતો.