Champions Trophy : પાકિસ્તાન-બાંગ્લાદેશ સામેની જીત બાદ પણ સેમિફાઈનલમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા, સમજો સમગ્ર ગણિત
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું અને બીજી મેચમાં પાકિસ્તાનને પણ હરાવ્યું છે. સતત બે મેચમાં બે જીત સાથે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલના દ્વારે પહોચી ગયું છે પરંતુ પોઈન્ટ ટેબલનું ગણિત કહે છે કે ટીમ ઈન્ડિયા હજુ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. જાઓ આખુ સમીકરણ.

ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં, પાકિસ્તાન સામે તેની જીતનો દબદબો જાળવી રાખ્યો છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ બન્ને પાડોશી દેશને હરાવ્યા છે. ગઈકાલ રવિવારે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે પછડાટ આપી હતી. ભારતીય ટીમની આ જીતનો ખરો હીરો વિરાટ કોહલી હતો, જેણે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને સરળતાથી જીત સુધી પહોંચાડી હતી.

આ સાથે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 2 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને સેમીફાઈનલના દ્વાર પર પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટીમ ઈન્ડિયા હજુ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.

8 ટીમોવાળી આ ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટનું ફોર્મેટ એવું છે કે, સતત 2 જોરદાર જીત નોંધાવવા છતાં ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. તાર્કિક રીતે કહીએ તો, આ બનવાની લગભગ કોઈ શક્યતા નથી, પરંતુ પોઈન્ટ ટેબલનું ગણિત અને સમીકરણો એવા છે કે આવુ પણ થઈ શકે છે.

આ માટે ચાલો તમને સંપૂર્ણ સમીકરણ સમજાવીએ. પહેલા પોઈન્ટ ટેબલની વાર્તા સમજો. સતત 2 જીત સાથે ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશ ત્રીજા સ્થાને અને પાકિસ્તાન ચોથા સ્થાને છે. બંને ટીમોના ખાતા પણ ખોલવામાં આવ્યા નથી.

સતત 2 જીત બાદ ટીમ ઈન્ડિયા નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે તે નિશ્ચિત જણાય છે પરંતુ આ ગ્રુપમાં હજુ 3 મેચ બાકી છે. આગામી મેચ આજે સોમવારે 24 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે છે. આવી સ્થિતિમાં જો બાંગ્લાદેશ આ મેચ જીતશે તો તેના 2 પોઈન્ટ થઈ જશે. બાંગ્લાદેશની છેલ્લી મેચ પાકિસ્તાન સામે છે અને જો તે આ મેચ પણ જીતશે તો બાંગ્લાદેશને 4 પોઈન્ટ મળશે. ન્યુઝીલેન્ડના માત્ર 2 પોઈન્ટ હશે અને પછી છેલ્લી મેચમાં તેનો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે થશે. જો ન્યુઝીલેન્ડ તે મેચમાં ભારતને હરાવે છે તો તેને પણ 4 પોઈન્ટ મળશે.

આ રીતે, ગ્રુપ Aની ત્રણેય ટીમો 4-4 પોઈન્ટ સાથે ટાઈ રહેશે. આવી સ્થિતિમાં નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે. જો બાંગ્લાદેશ તેની બંને મેચ મોટા માર્જિનથી જીતે છે, તો તેનો નેટ રન રેટ, જે હાલમાં -0.408 છે, તેમાં સુધારો થશે. હાલમાં ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ 0.647 છે, જ્યારે ન્યુઝીલેન્ડનો રનરેટ 1.200 છે.

જો ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મોટા અંતરથી હારે છે તો ભારતીય ટીમનો રન રેટ ઘટી જશે, જ્યારે ન્યૂઝીલેન્ડની સ્થિતિ વધુ સારી થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા નેટ રન રેટની રેસમાં પાછળ રહી જાય છે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. જો કે, વાત અહીં સુધી નહીં પહોંચે, જો ન્યુઝીલેન્ડ આગામી મેચમાં જ બાંગ્લાદેશને હરાવશે તો ભારત અને ન્યુઝીલેન્ડ સીધા જ સેમિફાઇનલમાં પહોંચી જશે. (તસવીરો સૌજન્ય-PTI)
ક્રિકેટજગતના તમામ નાના મોટા સમાચાર જાણવા માટે તમે અમારા ક્રિકેટને લગતા ટોપિક પર ક્લિક કરી જાણી શકો છો.