Photos : અમદાવાદમાં BAPS સંસ્થાનો આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો
બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના ભવ્ય અને દિવ્ય શાનદાર સમાપન સમારોહમાં સૌ મંત્રમુગ્ધ બન્યા. વિશ્વના ઇતિહાસમાં એક વિરલ અવસર: બી.એ.પી.એસ. ના એક લાખ જેટલાં નિસ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ યોજાયો.

સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર એક લાખ જેટલાં પ્રિ – પ્રોગ્રામ્મડ્ રિસ્ટ બેન્ડસ, ૨000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા પ્રસ્તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્વય ધરાવતા દિલધડક કાર્યક્રમ નિહાળી સૌ ઝૂમી ઉઠયા. એક લાખ કાર્યકરો દ્વારા સમૂહ આરતીના દૈદીપ્યમાન અર્ઘ્ય દરમિયાન સર્જાયા અદ્ભુત દૃશ્યો સામે આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો સંદેશ પાઠવવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું, આજે અહીં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સર્વત્ર વિજય છે. પ્રમુખસ્વામી મહારાજે અનેક પરિસ્થિતિઓમાં મને કહ્યું છે કે "ભગવાન બધું સારું કરશે" અને તે બળ હંમેશા મારી સાથે રહ્યું છે. દેશ વિદેશમાં 1200 કરતાં વધારે મંદિરોનું નિર્માણ કરીને પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે. શાસ્ત્રીજી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધીની ગુરૂપરંપરાને હું દિલથી વંદન કરું છું.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "આજનો આ કાર્યક્રમ નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે. સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણના કાર્યો તેમજ સનાતન હિન્દુ ધર્મના પ્રચારનું ભગીરથ કાર્ય આ બીએપીએસ સંસ્થા કરી રહી છે"

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ. ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી.

ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં - જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ

વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ કાર્યકરોની નિસ્વાર્થ સેવાભાવનાનો જયજયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

પ્રથમ સોપાન : છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ. ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.

દ્વિતીય સોપાન : એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી

તૃતીય સોપાન : આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.

ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું, “કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું - અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.

ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.
