અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે સોમવારે પણ સાયન્સ સિટી મુલાકાતીઓ માટે રહેશે ખુલ્લુ- તસ્વીરો
અમદાવાદ: આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને લઈ સાયન્સ સિટી સોમવારના દિવસે પણ ખુલ્લુ રહેશે. મુલાકાતીઓ દિવાળીના તહેવાર નિમીત્તે સોમવારે સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે. તહેવારો સમયે હજારો મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લેતા હોય છે.

વિશ્વના અનેક મ્યુઝિયમને ટક્કર મારે તેવુ શ્રેષ્ઠ અને વિશાળ સાયવ્સ સિટીની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ વખતે દિવાળીના તહેવારને ધ્યાને રાખી સાયન્સ સિટી સોમવારે પણ ખુલ્લી રહેશે.

તહેવારો અને રજાના દિવસોમાં સાયન્સ સિટીમાં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહના સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે.

આ વખતે 13 નવેમ્બરે સોમવારે દિવાળીના તહેવારના માહોલને જોતા સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે. આથી લોકો મનોરંજન સાથે જ્ઞાન-વિજ્ઞાનની પણ મજા માણી શકશે.

સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે અનેક નજરાણા છે. જેમા એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, ફાઇવ ડી થિયેટર સહિત આકર્ષણો છે.

સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરીના એક્વેરિયમમાં દેશ- વિદેશની 188 પ્રજાતિની 11,690 માછલીઓ જોવા મળશે. એક્વાટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. 68 ટાંકીઓ બનાવવામાં આવી છે.