RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરાઈ, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી
ગુજરાત સરકારે આરટીઈ અધિનિયમ હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.

આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારો માટે આવક મર્યાદા રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે રૂ. 1.50 લાખ હતી, જે હવે વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. આ ફેરફરની સાથે, આવક મર્યાદામાં આવતા વધુ વાલીઓ તેમના સંતાનો માટે પ્રવેશ અરજી કરી શકશે. સાથે જ, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ બાળકોને લાભ મળી શકે.

અગાઉની નક્કર આવક મર્યાદાને કારણે ઘણી પરીવારોને આ યોજનાનો લાભ મળતો નહોતો, પરંતુ હવે 6 લાખની મર્યાદા સાથે વધુ પરિવારો લાભાર્થી બનશે. રાજ્ય શિક્ષણ વિભાગે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે અંતિમ તારીખ વધારવા અને વધુ વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ આપવા નિર્ણય લીધો છે.

શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી બેઠકમાં આરટીઈ હેઠળની આવક મર્યાદા અને સમયગાળાના વિસ્તરણ અંગે સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવકની મર્યાદા વધારવા માટે વિચારણા ચાલી રહી છે અને નવું માળખું તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં આરટીઈ હેઠળ વિવિધ જિલ્લાઓની ખાનગી શાળાઓમાં કુલ 93,000થી વધુ બાળકોને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠકો, જ્યારે સુરત શહેરમાં 15,229 અને ગ્રામ્ય વિસ્તારોમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. વડોદરામાં 4,800 અને રાજકોટમાં 6,640 બાળકો માટે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.

આરટીઈ હેઠળ પ્રવેશ માટે કેટલાક વર્ગના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળમજૂર, સ્થળાંતરીત મજૂર અને દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. સાથે જ, એઆરટી (ART) સારવાર હેઠળના બાળકો, શહીદ જવાનોના સંતાનો અને માતા-પિતા માટે એકમાત્ર દીકરીઓ માટે પણ પ્રવેશમાં વિશિષ્ટ વ્યવસ્થા છે.

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા, BPL પરિવારોના બાળકો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), પછાત વર્ગ અને અન્ય અનામત વર્ગના બાળકો માટે પણ આરટીઈ પ્રવેશ ઉપલબ્ધ છે. સરકારની આ યોજના એ શ્રેણીના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

































































