500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ, મંદિરમાં બિરાજ્યા રામ, 22 જાન્યુઆરીની આ તસવીરો લોકો હજારો વર્ષો સુધી રાખશે યાદ
22 જાન્યુઆરી 2024ના ઐતિહાસિક દિવસે અયોધ્યાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં 84 સેકેન્ડના અભિજીત મુહુર્તમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સાથે કરોડો ભક્તોની 500 વર્ષની આતુરતાનો અંત આવ્યો. હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ તસવીરોને દુનિયાને વર્ષો સુધી યાદ રહેશે.

સવારે વિશેષ પ્લેનમાં વડાપ્રધાન મોદી અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓ હેલિકોપ્ટરમાં સવાર થઈ અયોધ્યા નગરીમાં પ્રવેશ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટના લોકો સાથે મુલાકાત બાદ 12.5 મિનિટે વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ક્રીમ રંગની ધોતી અને હળવા પીસ્તા રંગનો કુર્તો પહેર્યો હતો. વડાપ્રધાન મોદીના હાથમાં રહેલી થાળીમાં છત્ર, થાળી અને લાલ ચુનરી હતી. વડાપ્રધાન મોદી આ ખાસ પ્લેટને ગર્ભગૃહમાં લઈ ગયા હતા.

84 સેકેન્ડના અભિજીત મુહુર્તમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી વડાપ્રધાન મોદીએ કરોડો ભક્તોની 500 વર્ષની આતુરતાનો અંત કર્યો હતો. આરએસએસ વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત સંતગણ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદી રામ લલ્લાની મનમોહન પ્રતિમા સામે નતમસ્તક થયા હતા.

ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યુ , પ્રાણ પ્રતિષ્ઠા 20 દિવસ પહેલા મને સમાચાર મળ્યા કે, પ્રધાનમંત્રીએ પોતાને કયા અનુષ્ઠાન કરવા જોઈએ તેના નિયમો લખીને મોકલવા કહ્યું હતું. ત્યારબાદ ગોવિંદ દેવ ગિરીજી મહારાજે અન્ય સંતો સાથે પરામર્શ કર્યા બાદ કહ્યુ કે તમારે 3 દિવસ સુધી ઉપવાસ કરવાના રહેશે. પરંતુ નરેન્દ્ર મોદીએ 11 દિવસ સુધી ઉપવાસ કર્યા અને અન્નનો ત્યાગ કર્યો હતો.ગોવિંદ દેવ ગિરીજી મહારાજે પીએમને કહ્યુ હતું કે, આ દિવસો દરમિયાન તમારે વિદેશ પ્રવાસ કરવો જોઈએ નહીં. કારણ કે સાંસર્ગિક દોષ પણ લાગે છે. તેથી તેમણે વિદેશ પ્રવાસ રદ્દ કર્યા હતા. તેના બદલે પીએમએ દેશના જુદા-જુદા રાજ્યોમાં આવેલા મંદિરોનો પ્રવાસ કર્યો હતો. આગળ ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યુ કે, તેમણે પીએમને માત્ર 3 દિવસ જમીન પર સુવા માટે કહ્યુ હતું પરંતુ તેઓ 11 દિવસ સુધી આ નિયમનું પાલન કર્યું. નરેન્દ્ર મોદી આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતાનો 11 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરની બહાર વડાપ્રધાન મોદીને આવતા જોઈ કાર્યક્રમમાં હાજર લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ સાધુ સંતો અને બોલિવૂડ-રમતગમત-રાજકારણની હસ્તીઓની નજીક જઈને તેમનું અભિવાદન કર્યુ હતુ. રામ મંદિર બનાવવામાં પોતાનું યોગદાન આપનાર કારીગરો પર તેમણે પુષ્પ વર્ષા પણ કરી હતી.

આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતજીને યૂપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું.તે ચાંદીનું મંદિર સુરતના એક જેવલર્સ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિંગર સોનુ નિગમનો મધૂર સ્વર સાંભળવા મળ્યો હતો. આ મહોત્સવમાં અંબાણી પરિવાર, અમિતાભ-અભિષેક બચ્ચન, રજનીકાંત, વિવેક ઓબરોય, અનુપમ ખેર, જેકી શ્રોફ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે , રવિન્દ્ર જાડેજા, રિવાબા, સાનિયા નહેવાલ , મિતાલી રાજ, વેંકટેસ્વર પ્રસાદ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, કેટરિના કેફ, વિકી કૌશલ અને સુનિલ શેટ્ટી સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા અને વડાપ્રધાન મોદીની સ્પીચ બાદ સાધુ સંતોએ રામ લલ્લાની ઝલક મેળવવા માટે મંદિર તરફ દોટ લગાવી હતી. રામ મંદિરમાં પોતાના રામને જોવાનો તેમનો ઉત્સાહ તેમની આંખોમાં જોવા મળી રહ્યો હતો.






































































