કેટલાક રેલવે સ્ટેશનો પર ‘ટર્મિનલ’ અને કેટલાક પર ‘ટર્મિનસ’ કેમ લખવામાં આવે છે? જાણો આ બંને વચ્ચેનો તફાવત
ભારતીય રેલવે સ્ટેશનોના નામમાં ટર્મિનલ અને ટર્મિનસ શબ્દોનો ઉપયોગ ચોક્કસ કારણોસર કરે છે. ટર્મિનસ રેલવે લાઇનનું છેલ્લું સ્ટેશન હોય છે, જ્યારે ટર્મિનલ એક મોટું સ્ટેશન હોય છે જ્યાંથી મોટી સંખ્યામાં ટ્રેનોનું સંચાલન થાય છે.

ભારતમાં દરરોજ લાખો લોકો રેલવેમાં મુસાફરી કરે છે. ટિકિટ બુક કરતી વખતે અથવા સ્ટેશન પર લગાવેલા બોર્ડ જોતી વખતે તમે ઘણા સ્ટેશનોના નામ આગળ ‘ટર્મિનલ’ અને ‘ટર્મિનસ’ લખેલું ચોક્કસ જોયું હશે. જેમ કે દિલ્હીનું આણંદ વિહાર ટર્મિનલ અને મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. પહેલી નજરે આ બંને શબ્દો એક સરખા લાગે છે, પરંતુ તેમનો અર્થ બિલકુલ અલગ હોય છે. આ જ કારણે ભારતીય રેલવે દરેક સ્ટેશન માટે આ શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજી-વિચારીને કરે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે ટર્મિનલ અને ટર્મિનસ વચ્ચે શું તફાવત હોય છે.
ટર્મિનસ એટલે શું?
ટર્મિનસ એવા રેલવે સ્ટેશનને કહેવામાં આવે છે, જ્યાં રેલવે લાઇન પૂરી થઈ જાય છે. એટલે કે ટ્રેન તે સ્ટેશને પહોંચ્યા પછી આગળ એ જ ટ્રેક પર જઈ શકતી નથી. તેને પાછા એ જ દિશામાં પરત આવવુ પડે છે જ્યાંથી તે આવી હતી. આને તમે કોઈ રસ્તાના અંતિમ છેડા સમાન સમજી શકો છો. આગળ રસ્તો ન હોવાને કારણે વાહનને પાછું વળવું પડે છે.
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) આનું સૌથી મોટું ઉદાહરણ છે. અહીં આવતી ઘણી ટ્રેનો પોતાની મુસાફરી અહીં જ પૂરી કરે છે. આગળ એ જ લાઇન પર જવાનો રસ્તો ન હોવાથી ટ્રેનને પાછી બીજી દિશામાં રવાના કરવામાં આવે છે.
ટર્મિનલ એટલે શું?
ટર્મિનલનો અર્થ થોડો અલગ થાય છે. આ એવું સ્ટેશન હોય છે જ્યાંથી મોટી સંખ્યામાં ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. અહીં મુસાફરોની સુવિધા માટે વધુ પ્લેટફોર્મ, પાર્કિંગ, વેટિંગ એરિયા, ટિકિટ કાઉન્ટર અને બીજી આધુનિક સુવિધાઓ હોય છે. એ જરૂરી નથી કે ટર્મિનલ રેલવે લાઇનનું છેલ્લું સ્ટેશન જ હોય. ઘણી વાર રેલવે કોઈ મોટા સ્ટેશનને માત્ર એટલા માટે ટર્મિનલ જાહેર કરી દે છે જેથી ત્યાંથી ટ્રેનોનું યોગ્ય સંચાલન થઈ શકે અને બીજા સ્ટેશનો પર ભીડ ઓછી થાય.
દિલ્હીનું આણંદ વિહાર ટર્મિનલ આ જ કારણે બનાવવામાં આવ્યું હતું. આનો હેતુ નવી દિલ્હી અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર વધતી ભીડને ઓછી કરવાનો હતો. અહીંથી દેશના ઘણા રાજ્યો માટે લાંબા અંતરની ટ્રેનો ચલાવવામાં આવે છે.
શું દરેક સ્ટેશન ટર્મિનલ, ટર્મિનસ હોય છે?
દરેક ટર્મિનસને ટર્મિનલ કહી શકાય નહીં અને દરેક ટર્મિનલ, ટર્મિનસ હોતું નથી. આને સરળ ભાષામાં આ રીતે સમજો. માની લો કે એક રસ્તો છે જેના પર બસ ચાલે છે. જો રસ્તાનો છેલ્લો પડાવ આવી ગયો અને તેનાથી આગળ રસ્તો જ નથી, તો તે ટર્મિનસ જેવું છે, એટલે કે મુસાફરી અહીં પૂરી થઈ જાય છે. હવે બીજી તરફ એક મોટા બસ સ્ટેન્ડનો વિચાર કરો, જ્યાંથી ઘણા શહેરો માટે ડઝનબંધ બસો ચાલે છે. ત્યાં ટિકિટ કાઉન્ટર, રાહ જોવાની જગ્યા અને ઘણા પ્લેટફોર્મ હોય છે. આવા બસ સ્ટેન્ડને ટર્મિનલની જેમ સમજી શકાય છે.
એટલે કે સરળ શબ્દોમાં ટર્મિનસ બતાવે છે કે રેલના પાટા અહીં પૂરા થાય છે, જ્યારે ટર્મિનલ બતાવે છે કે આ એક મોટું સ્ટેશન છે જ્યાંથી ઘણી બધી ટ્રેનો ચાલે છે અને મુસાફરો માટે વધુ સુવિધાઓ છે.
ભારતીય રેલવેમાં બંને શબ્દો કેમ વપરાય છે?
ભારતીય રેલવે પાસે હજારો સ્ટેશનો છે. દરેક સ્ટેશનની ભૂમિકા અલગ હોય છે. કેટલાક સ્ટેશનો માત્ર વચ્ચેના પડાવ હોય છે, કેટલાક જંકશન હોય છે, કેટલાક ટર્મિનલ અને કેટલાક ટર્મિનસ. રેલવે આ નામો દ્વારા મુસાફરોને સંકેત આપે છે કે સ્ટેશનનું સંચાલન કઈ રીતે થાય છે.
ઉદાહરણ તરીકે:
- આણંદ વિહાર ટર્મિનલ (દિલ્હી): મોટી સંખ્યામાં ટ્રેનોનું સંચાલન અને ભીડ ઓછી કરવા માટે વિકસાવવામાં આવેલું સ્ટેશન.
- છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ): રેલવે લાઇનનો અંતિમ છેડો, જ્યાં ઘણી ટ્રેનોની મુસાફરી સમાપ્ત થાય છે.
જંકશન, સેન્ટ્રલ અને ટર્મિનલમાં પણ હોય છે તફાવત
રેલવે સ્ટેશનોના નામમાં બીજા પણ ઘણા શબ્દો જોડાયેલા હોય છે:
- જંકશન: જ્યાં ત્રણ કે તેથી વધુ રેલવે લાઇનો મળે છે.
- સેન્ટ્રલ: કોઈ મોટા શહેરનું અગ્રણી અને મુખ્ય રેલવે સ્ટેશન.
- ટર્મિનલ: મોટું સ્ટેશન, જ્યાંથી ઘણી ટ્રેનોનું સંચાલન થાય છે.
- ટર્મિનસ: રેલવે લાઇનનું અંતિમ સ્ટેશન.
તેથી સ્ટેશનના નામમાં લખાયેલો દરેક શબ્દ તેની ખાસ ઓળખ બતાવે છે. આગામી વખતે જ્યારે તમે આણંદ વિહાર ટર્મિનલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસનું નામ જુઓ, તો સમજી જજો કે બંને એક સરખા નથી.
