કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’! હવે માત્ર 24 થી 48 કલાકમાં મળશે ‘PF ના પૈસા’, સીધા UPI ખાતામાં થશે ‘જમા’
EPFO એ કરોડો કર્મચારીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. હવે PF ના પૈસા ઉપાડવા માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે, કારણ કે ક્લેમ માત્ર 24 થી 48 કલાકમાં જ મંજૂર થઈ જશે. એટલું જ નહીં, ટૂંક સમયમાં PF ની રકમ સીધી તમારા UPI થી લિંક થયેલા બેંક ખાતામાં પણ જમા થઈ જશે.

EPFO એ PF ઉપાડને લઈને મોટી જાહેરાત કરી છે. હવે કર્મચારીઓએ પોતાનું પ્રોવિડન્ટ ફંડ નીકાળવા માટે લાંબી રાહ જોવી નહીં પડે. સંગઠનનો દાવો છે કે, નવી વ્યવસ્થા લાગુ થયા પછી મોટાભાગના PF ક્લેમ 24 થી 48 કલાકની અંદર, જ્યારે ઘણા કિસ્સાઓમાં તો તે જ દિવસે નિપટાવી દેવામાં આવશે. આ સાથે જ EPFO ટૂંક સમયમાં UPI દ્વારા સીધા બેંક ખાતામાં PF ની રકમ મોકલવાની સુવિધા પણ શરૂ કરવા જઈ રહ્યું છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) PF ઉપાડ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ ઝડપી બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ સમિટમાં EPFO ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (CPFC) રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, સંગઠનનો લક્ષ્યાંક છે કે સભ્યોના નવા PF ક્લેમ તે જ દિવસે અથવા મહત્તમ 24 થી 48 કલાકની અંદર નિપટાવી દેવામાં આવે. તેમણે જણાવ્યું કે, EPFO એ લગભગ તમામ બાકી (પેન્ડિંગ) ક્લેમનો નિકાલ કરી દીધો છે અને હવે નવી ઓટો-સેટલમેન્ટ સિસ્ટમ હેઠળ લગભગ 90 ટકા દાવાઓ કોઈ પણ વિલંબ વગર પ્રોસેસ થઈ રહ્યા છે.

અત્યાર સુધી EPFO માં ઓનલાઇન PF ઉપાડનો દાવો કર્યા પછી KYC પૂર્ણ હોવા છતાં પણ ક્લેમનો નિકાલ સામાન્ય રીતે 7 થી 10 કામકાજના દિવસોમાં થતો હતો. જો કે, નવી વ્યવસ્થા લાગુ થયા પછી કર્મચારીઓએ પોતાની જરૂરિયાતના સમયે પૈસા માટે લાંબી રાહ જોવી નહીં પડે. આનાથી મેડિકલ ઇમરજન્સી, શિક્ષણ, ઘર ખરીદવા કે અન્ય જરૂરી ખર્ચાઓ માટે PF ઉપાડવું પહેલાની સરખામણીએ ઘણું સરળ અને ઝડપી બની જશે.

EPFO એ એ પણ જાહેરાત કરી છે કે, આગામી લગભગ એક મહિનામાં PF ક્લેમની ચુકવણી BHIM એપ દ્વારા UPI થી જોડાયેલા બેંક ખાતાઓમાં સીધી કરવામાં આવશે. ટૂંકમાં, ક્લેમ મંજૂર થતાં જ રકમ સીધી સભ્યના UPI-લિંક્ડ બેંક ખાતામાં પહોંચી જશે. આનાથી બેંકિંગ પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને ચુકવણીમાં થતો વિલંબ પણ ઘટશે. આ સુવિધા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન જ્યારે EPF પર મળતા હાલના 8.25 ટકા વ્યાજદરમાં વધારો કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે રમેશ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ અંગે અત્યારે કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. તેમણે જણાવ્યું કે, EPFO એ 3 જુલાઈ સુધીમાં 34 કરોડથી વધુ સભ્યોના ખાતામાં 8.25 ટકાના દરે લગભગ 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ એકસાથે જમા કર્યું છે, જે સંગઠનની મોટી સિદ્ધિ છે.

EPFO નું કહેવું છે કે, આગામી સમયમાં સંગઠનનું ફોકસ માત્ર ક્લેમ સેટલમેન્ટ સુધી સીમિત નહીં રહે. એમ્પ્લોયર્સ (માલિકો) માટે કમ્પ્લાયન્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને સભ્યોને વધુ ડિજિટલ તેમજ ઝડપી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સુધારાઓનો હેતુ EPFO ને કર્મચારીઓ અને માલિકો બંને માટે વધુ વિશ્વસનીય તેમજ આધુનિક સામાજિક સુરક્ષા સંસ્થા બનાવવાનો છે. નવી વ્યવસ્થા લાગુ થયા પછી લાખો કર્મચારીઓને PF ઉપાડ માટે પહેલા જેવી લાંબી પ્રક્રિયા અને રાહ જોવામાંથી રાહત મળવાની અપેક્ષા છે.
શું તમે તમારો UAN ભૂલી ગયા છો ? આધાર, PAN, અથવા PF નંબરનો ઉપયોગ કરીને આ રીતે મિનિટોમાં પુનઃ પ્રાપ્ત કરો
