Vadodara : દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બનશે, જાણો
દુમાડ અને દેણા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના હસ્તે લોકાર્પણ થશે. દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી તા. 2 જૂન 20223 ના રોજ વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર અંદાજે 54 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધન કરશે.

બંને બાજુ સર્વિસ રોડ સાથે તૈયાર થયેલા આ 12 લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો તો સુખદ અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો.

ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે.

સપ્ટેમ્બર-2021 માં કેન્દ્રીય મંત્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.