ક્યાં સુધી સફરરાઝ ખાનની થશે અવગણના, શુભમન ગિલને હજી કેટલી તક મળશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ મેચની સીરિઝમાં એક તરફ ખેલાડીઓની ઈજાથી ટીમ મેનેજમેન્ટ પરેશાન છે, તો બીજી તરફ સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે ફેન્સ નારાજ છે. વધુમાં રણજીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ અને હાલ ટીમમાં સામેલ સરફરાઝ ખાન સામે લાંબા સમયથી રન બનાવવા સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલની પસંદગી બાદ વિશાખાપટ્ટનમમાં શુભમન માત્ર 34 રન બનાવી આઉટ થતા ફેન્સ મેનેજમેન્ટ પર ભડક્યા છે અને ગિલને બહાર કરી સરફરાઝને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

બીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ થયેલા સરફરાઝ ખાનને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. સરફરાઝે ડોમેસ્ટિક અને ઈન્ડિયા એ માટે શાનદાર પ્રદર્શન કર્યું.

સરફરાઝના આંકડાની વાત કરીએ તો તેણે 45 મેચની 66 ઈનિંગમાં 3912 રન બનાવ્યા છે. તેની એવરેજ 69થી વધુ રહી છે. તેણે 14 સદી પણ ફટકારી છે. પરંતુ તેમ છતાં તેને પ્લેઈંગ 11માં તક આપવામાં આવી ન હતી.

શુભમન ગિલના આંકડા પર નજર કરીએ તો, તે નંબર-3 પર રમવા આવ્યો ત્યારથી તેનું ખરાબ ફોર્મ શરૂ થઈ ગયું છે. ગિલ જુલાઈ 2023માં પ્રથમ વખત નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો, ત્યાર બાદ ગિલે આ સ્થિતિમાં માત્ર 47, 6, 10, 29*, 2, 26, 36, 10, 23, 0, 34 રન બનાવ્યા છે.

શુભમન ગિલની બેટ સાથેની છેલ્લી મોટી ટેસ્ટ ઈનિંગ માર્ચ 2023માં આવી હતી, જ્યારે તેણે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 128 રન બનાવ્યા હતા.

હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેની ટેસ્ટ કારકિર્દી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. પસંદગીકારો પણ તેને લાંબા સમય સુધી સમર્થન આપી શકશે નહીં અને ભવિષ્યમાં તે પ્લેઈંગ 11માંથી બહાર થતો જોવા મળી શકે છે.
