Post Office ની અદ્ભુત યોજના, દર મહિને રૂપિયા 5,550ની ગેરંટી આવક, જાણો કેટલું રોકાણ કરવું પડશે
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) સુરક્ષિત રોકાણ કરીને નિયમિત માસિક આવક મેળવવા ઉત્તમ છે. 7.4% વાર્ષિક વ્યાજ દર સાથે, રોકાણ કરેલી રકમ પર દર મહિને વ્યાજ સીધું બેંક ખાતામાં જમા થાય છે.

પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકો માટે અનેક સુરક્ષિત બચત યોજનાઓ પ્રદાન કરે છે, જેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માસિક આવક યોજના (Monthly Income Scheme – MIS). આ યોજના ખાસ કરીને એવા લોકો માટે લાભદાયી છે, જે એક વખત રોકાણ કરીને નિયમિત માસિક આવક મેળવવા ઈચ્છે છે.

MIS યોજનામાં રોકાણ કર્યા બાદ તમને વારંવાર પૈસા જમા કરવાની જરૂર નથી. એક વખત રકમ રોકાણ કર્યા પછી, તરત જ તમારી માસિક આવક શરૂ થઈ જાય છે. આ યોજનામાં પોસ્ટ ઓફિસ તરફથી 7.4 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે, જે દર મહિને સીધું તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે આ વ્યાજની રકમ બચાવી પણ શકો છો અથવા તમારી જરૂરિયાત મુજબ ઉપાડી પણ શકો છો.

આ યોજના હેઠળ ખાતું ખોલવાની શરૂઆત માત્ર રૂ. 1,000થી કરી શકાય છે. એક વ્યક્તિગત ખાતામાં મહત્તમ રૂ. 9 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે, જ્યારે સંયુક્ત ખાતામાં મહત્તમ રૂ. 15 લાખ સુધીનું રોકાણ શક્ય છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ત્રણ લોકો જોડાઈ શકે છે.

જો તમે એકલ ખાતામાં રૂ. 9 લાખનું રોકાણ કરો છો, તો તમને આગામી 5 વર્ષ સુધી દર મહિને રૂ. 5,550નું નિશ્ચિત વ્યાજ મળશે. આ રકમ દર મહિને સીધી તમારા બેંક ખાતામાં જમા થશે, જેનાથી તમને એક વિશ્વસનીય અને સુરક્ષિત માસિક આવકનો સ્ત્રોત મળે છે.

પોસ્ટ ઓફિસ MIS યોજના 5 વર્ષમાં પરિપક્વ થાય છે. પરિપક્વતા બાદ, તમારા ખાતામાં જમા કરેલી સંપૂર્ણ મૂળ રકમ પણ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે, તમને માસિક વ્યાજ સાથે સાથે તમારું મુખ્ય રોકાણ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

MIS યોજના હેઠળ ખાતું ખોલવા માટે તમારું પોસ્ટ ઓફિસ બચત ખાતું હોવું જરૂરી છે. ખાતું ખોલ્યા બાદ તરત જ તમારી માસિક આવક શરૂ થઈ જાય છે. સુરક્ષિત રોકાણ અને નિયમિત આવક ઈચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસની આ યોજના એક ઉત્તમ વિકલ્પ છે.
