સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે કાંતશે ચરખો, ખાદી ઉત્સવમાં PM મોદી આપશે હાજરી
Ahmedabad: આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં એક અનોખી ઘટના જોવા મળશે. આવતીકાલે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 27 ઓગસ્ટે 'ખાદી ઉત્સવ'નો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે . જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. માનનીય વડાપ્રધાન એ ખાદીને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. તેના લીધે ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. વર્ષ 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતના સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચરખાનું જીવંત નિદર્શન કરશે.

7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે.

કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ખાદી ઉત્સવ કાર્યક્રમની બધી તૈયારીઓ પૂર્ણ થઈ છે.