આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદ રેલવે મંડળની અનોખી પહેલ, 4 વંદે ભારત ટ્રેનોમાં પણ થશે યોગ સત્રો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીને અનોખો આયામ આપતા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે રેલવે પરિસરો ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ યોગ સત્રો યોજવાનો નિર્ણય લીધો છે. મુસાફરોને સ્વસ્થ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીને વધુ વ્યાપક અને જનસુલભ બનાવવા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 21 જૂનના રોજ અમદાવાદ મંડળના વિવિધ મહત્વપૂર્ણ સ્થળો ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ યોગ સત્રો યોજવામાં આવશે.

આ પહેલનો મુખ્ય હેતુ રેલવે કર્મચારીઓ અને મુસાફરોમાં સ્વસ્થ જીવનશૈલી, માનસિક સંતુલન અને સમગ્ર કલ્યાણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સાબરમતીના સામુદાયિક ભવન, ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કાંકરિયા રેલવે ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીધામ અને વિરમગામના સામુદાયિક ભવનોમાં યોગ કાર્યક્રમો યોજાશે.

ખાસ વાત એ છે કે ગાડી નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ, 12462 સાબરમતી-જોધપુર, 26964 અસારવા-ઉદયપુર અને 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં પણ વિશેષ યોગ સત્રો યોજાશે. મુસાફરો યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ બેઠક પર બેસીને સરળ યોગાસનો અને પ્રાણાયામ કરી શકશે.

અમદાવાદ મંડળ અગાઉ અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને ગાંધીધામ સહિતના સ્ટેશનો પર સફળ યોગ શિબિરો યોજી ચૂક્યું છે. “Yoga for Healthy Ageing” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમ દ્વારા પશ્ચિમ રેલવે સ્વસ્થ જીવન અને સામૂહિક કલ્યાણનો સંદેશ વધુ વ્યાપક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. રેલવે તંત્રએ મુસાફરો અને કર્મચારીઓને આ યોગ સત્રોમાં જોડાઈ વૈશ્વિક યોગ અભિયાનનો ભાગ બનવા અપીલ કરી છે.
રોડના ડિવાઇડર પર કાળો-પીળો રંગ જ કેમ? જાણો તેની પાછળનું રસપ્રદ અને સુરક્ષાથી જોડાયેલું કારણ
