IND vs SL: કોલંબો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં વરસાદ બનશે વિલન ? જાણો પાંચમા દિવસે કેવું રહેશે હવામાન
કોલંબો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી ગઈ છે, પરંતુ હવે એક કુદરતી વિઘ્ન તેની રાહમાં ઊભું છે. ભારતને મેચ જીતવા માટે માત્ર ચાર વિકેટની જરૂર છે, જ્યારે શ્રીલંકા પાસે 16 રનની લીડ છે. જોકે, પાંચમા દિવસે હવામાનની સ્થિતિ મેચનું પરિણામ નક્કી કરી શકે છે. શું વરસાદ ભારતની જીત છીનવી લેશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત બનાવી છે. ભારતે પ્રથમ દાવ 503/9 પર જાહેર કર્યો હતો, જ્યારે શ્રીલંકાની પ્રથમ ઇનિંગ 290 રનમાં સમેટાઈ હતી.

શ્રીલંકાની બીજી ઇનિંગમાં પાસિન્દુ સૂર્યબંદારાએ 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કમિન્દુ મેન્ડિસે 55 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનથી શ્રીલંકા ઇનિંગની હાર ટાળવામાં સફળ રહ્યું છે અને હાલમાં તેની પાસે 16 રનની લીડ છે.

હવે ભારતીય ટીમને શ્રીલંકાની બીજી ઇનિંગ સમેટવા માટે માત્ર ચાર વિકેટની જરૂર છે. જો ભારતીય બોલરો શરૂઆતના સત્રમાં આ ચારેય વિકેટ ઝડપી લે છે, તો ટીમ ઈન્ડિયાને જીત માટે નાનું લક્ષ્ય મળશે અને મેચ ઝડપથી તેના પક્ષમાં આવી શકે છે.

જોકે, કોલંબોમાં વરસાદ ભારતની જીતની રાહમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. પાંચમા દિવસે પ્રથમ સત્રમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ બપોરના સત્રમાં વરસાદની સંભાવના વધીને 25 ટકા અને સાંજે લગભગ 35 ટકા રહેવાની શક્યતા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બે મેચની શ્રેણીમાં ભારત પહેલાથી જ 1-0થી આગળ છે. હવે પાંચમા દિવસે ભારતીય ટીમ જીત નોંધાવીને શ્રેણી 2-0થી પોતાના નામે કરવા માગશે, પરંતુ અંતિમ દિવસે વરસાદ કેટલો સાથ આપે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે. (PC:PTI/X/BCCI)
IND vs SL: કોલંબોમાં ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત, ફોલો-ઓન પછી શ્રીલંકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ
