અવકાશમાં શસ્ત્રો કેવી રીતે તૈનાત કરવામાં આવે છે, શું તેને દૂરથી ઓપરેટ કરી શકાશે?
એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ અને લેસર આધારિત હથિયારોને રોકેટની મદદથી અવકાશમાં ભ્રમણકક્ષામાં પહોંચાડી શકાય છે, જ્યાં પૃથ્વી પર સ્થિત લશ્કરી કમાન્ડ સેન્ટરોમાંથી રિમોટ કંટ્રોલ અને એઆઈ ટેક્નોલોજી દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

યુએસ એરફોર્સે અવકાશમાં પોતાની સૈન્ય ક્ષમતાને લઈને મહત્વની માહિતી જાહેર કરી છે. એરફોર્સ સેક્રેટરી ટ્રોય મીંકે એર સ્પેસ અને સાયબર કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમેરિકાએ અવકાશમાં એવા કંટ્રોલ હથિયારો તૈનાત કર્યા છે, જે દુશ્મનની સંભવિત કાર્યવાહી સામે સૈન્યની સુરક્ષા કરવામાં મદદરૂપ થઈ શકે છે.

જોકે તેમણે આ હથિયારોની ચોક્કસ માહિતી કે તેની કાર્યપ્રણાલી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ આ નિવેદન બાદ અવકાશમાં શસ્ત્રોની તૈનાતી અને પૃથ્વી પરથી તેને નિયંત્રિત કરી શકાય છે કે નહીં, તે મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અવકાશમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે, ગતિશીલ અને બિન-ગતિશીલ. ગતિશીલ શસ્ત્રો સીધી ટક્કર અથવા વિસ્ફોટ દ્વારા દુશ્મનના ઉપગ્રહને નુકસાન પહોંચાડવા કે નષ્ટ કરવા માટે બનાવવામાં આવે છે. આવા શસ્ત્રોને સામાન્ય રીતે એન્ટિ-સેટેલાઇટ એટલે કે ASAT હથિયારો કહેવામાં આવે છે.

બીજી તરફ, બિન-ગતિશીલ શસ્ત્રો ઉપગ્રહને સીધું નુકસાન પહોંચાડવાને બદલે તેના સિગ્નલમાં વિક્ષેપ ઉભો કરવા, ખોટા સંકેતો મોકલવા અથવા સાયબર હુમલા દ્વારા તેની કામગીરીને અસર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. લેસર ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક જામિંગ સિસ્ટમ્સને પણ આ પ્રકારના શસ્ત્રોમાં સામેલ કરવામાં આવે છે.

ASAT હથિયારોનો ઉપયોગ મુખ્યત્વે બે અલગ રીતોથી થઈ શકે છે. પ્રથમ રીતમાં જમીન પરથી સીધી મિસાઇલ લોન્ચ કરીને તેને અવકાશમાં રહેલા નિશ્ચિત ઉપગ્રહ તરફ મોકલવામાં આવે છે. ભારત, અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો આ પ્રકારની એન્ટિ-સેટેલાઇટ ટેક્નોલોજીનું અગાઉ પરીક્ષણ કરી ચૂક્યા છે.

બીજી રીતને કો-ઓર્બિટલ ASAT તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં એક ખાસ અવકાશયાનને ભ્રમણકક્ષામાં મોકલવામાં આવે છે, જે અન્ય ઉપગ્રહની નજીક જઈ શકે છે અને જરૂર પડે ત્યારે તેની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરી શકે છે અથવા તેને નિષ્ક્રિય કરી શકે છે. અમેરિકાના તાજેતરના નિવેદન બાદ આ પદ્ધતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે તેમાં શસ્ત્ર અથવા ઉપકરણ પહેલેથી જ અવકાશની ભ્રમણકક્ષામાં હાજર હોવાની શક્યતા હોય છે.

અવકાશમાં કાર્યરત અનેક શસ્ત્રો અને સિસ્ટમોનું નિયંત્રણ પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરો દ્વારા કરવામાં આવે છે. સામાન્ય ઉપગ્રહોની જેમ જ આ સિસ્ટમોને રેડિયો સિગ્નલ અને સેટેલાઇટ કમ્યુનિકેશનના માધ્યમથી રિમોટથી ઓપરેટર કરી આદેશો આપી શકાય છે. કેટલીક અદ્યતન સિસ્ટમોમાં ઓટોમેશનની સુવિધા પણ હોઈ શકે છે, જેના કારણે ચોક્કસ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે સંભવિત ખતરો ઓળખીને પ્રોગ્રામ મુજબ આપમેળે પ્રતિસાદ આપી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
