મચ્છર ભગાડવાનું લિક્વિડ બાળકો માટે કેટલું સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી ચેતવણી
ઘરમાં વપરાતી મચ્છર ભગાડવાની લિક્વિડ રિફિલ નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 19 મહિનાના બાળકે લિક્વિડ પી લીધા બાદ હોસ્પિટલ ભેગા થવું પડ્યું, જાણો બચાવના ઉપાયો.

ઘરોમાં મચ્છરોથી બચવા માટે લિક્વિડ રિફિલ મશીનનો ઉપયોગ હવે રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો છે. મોટાભાગના લોકો તેને સંપૂર્ણપણે સુરક્ષિત માની લે છે, પરંતુ જો ઘરમાં નાના બાળકો હોય તો આ ઉત્પાદન ભારે આફત નોતરી શકે છે. તાજેતરમાં જ 19 મહિનાના એક માસૂમ બાળકે મચ્છર ભગાડવાનું લિક્વિડ ભૂલથી ગળી જતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરગથ્થુ કીટનાશકો પ્રત્યે રાખેલી નાની બેદરકારી પણ બાળકોના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.

લિક્વિડ કઈ રીતે ખતરનાક સાબિત થઈ શકે? મચ્છર ભગાડવાના લિક્વિડમાં એવા રાસાયણિક તત્વો હોય છે, જે જો ભૂલથી પેટમાં જતા રહે અથવા શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી જાય તો ફેફસામાં સોજો, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, ઓક્સિજનની કમી અને ઇન્ફેક્શન જેવી જીવલેણ સમસ્યાઓ ઊભી કરી શકે છે. નાના બાળકોનું શ્વસનતંત્ર હજુ પૂરી રીતે વિકસિત ન હોવાથી તેમના માટે સ્થિતિ વધુ ગંભીર બને છે.

એક્સપર્ટ્સ અને ડોક્ટર્સનું શું કહેવું છે? સર ગંગારામ હોસ્પિટલના પીડિયાટ્રિક પલ્મોનોલોજી વિભાગના ચેરમેન ડો. ધીરેન ગુપ્તાના જણાવ્યા અનુસાર, લિક્વિડ ફેફસામાં પહોંચવાથી બાળકોમાં કેમિકલ ન્યુમોનાઈટીસ, એસ્પિરેશન ન્યુમોનિયા અને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS) જેવી જીવલેણ સ્થિતિઓ સર્જાઈ શકે છે.

ઘણીવાર વાલીઓ માની લે છે કે રિફિલ બોટલ કે તેના ઢાંકણા સુરક્ષિત છે, પરંતુ જો પ્રોડક્ટની ફિટિંગ, ઢાંકણા કે ઇલેક્ટ્રોડમાં કોઈ ટેકનિકલ ખામી હોય તો લિકેજ થવાનું જોખમ રહે છે. તેથી ઘરમાં રહેલા કીટનાશકો, લિક્વિડ કે સફાઈના કેમિકલ્સ હંમેશા બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ.

નાના બાળકો સાથે કેમ વધે છે જોખમ? 18 મહિનાથી લઈને 3 વર્ષ સુધીના બાળકો આસપાસની વસ્તુઓને સ્પર્શ કરીને કે મોઢામાં નાખીને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમની આ જ જિજ્ઞાસા ક્યારેક મોટી દુર્ઘટનાનું કારણ બને છે. બાળકો ખુરશી કે સ્ટૂલની મદદથી વડીલોએ સુરક્ષિત રાખેલી જગ્યાઓ સુધી પણ પહોંચી જતા હોય છે.

વાલીઓએ રાખવાની ખાસ સાવચેતીઓ: મશીન અને રિફિલને હંમેશા બાળકો પહોંચી ન શકે તેટલી ઊંચાઈ પર રાખો. ઉપયોગ કરતા પહેલાં ફિટિંગ અને ઢાંકણ બરાબર છે કે નહીં તે તપાસો. જો લિકેજ કે તૂટફૂટ દેખાય તો તરત જ રિફિલ બદલી નાખો. વધારાની નવી રિફિલ બોટલોને હંમેશા બંધ કબાટમાં સુરક્ષિત રાખો. ઉપયોગ ન થઈ રહ્યો હોય ત્યારે મશીનને પ્લગમાંથી બહાર (Unplug) કાઢી લો. બાળકોને આવા વીજળીના અને કેમિકલવાળા ઉપકરણોથી દૂર રહેવાની આદત કેળવો.

જો બાળક ભૂલથી લિક્વિડ પી લે તો શું કરવું? જો તમને જરાય શંકા જાય કે બાળકે લિક્વિડ ગળી લીધું છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બાળકને જબરદસ્તીથી ઉલ્ટી કરાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. જો બાળકને ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉલ્ટી થાય, સુસ્તી કે બેચેની જણાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચો. થોડીક જાગૃતિ અને સાવધાની બાળકોને આવી મોટી દુર્ઘટનાઓથી બચાવી શકે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
વારસદારો માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, PAN અને વસીયતની જરૂર નહીં
