3 દિવસ સુધી બેંક અને શેરબજાર બંધ, જાણો કઈ સેવાઓ ચાલુ રહેશે અને શું રહેશે અસર
26થી 28 જૂન દરમિયાન દેશભરમા બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. જેની બેંકિંગ સેવાઓ પર અસર પડશે. સાથે જ NSE અને BSEમાં પણ ટ્રેડિંગ બંધ રહેશે.

જો તમે આગામી દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ 26 જૂનથી 28 જૂન સુધી દેશભરમા બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શેરબજારમાં પણ કારોબાર નહીં થાય.

26 જૂને મોહરમની રજાને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને મિઝોરમ સહિતના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 27 જૂને ચોથો શનિવાર હોવાથી દેશભરની સરકારી અને ખાનગી બેંકોમાં કામકાજ નહીં થાય, જ્યારે 28 જૂને રવિવારની સાપ્તાહિક રજા રહેશે.

આ દરમિયાન તમામ સરકારી અને ખાનગી બેંકોની શાખાઓ બંધ રહેશે. પરિણામે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ જમા-ઉપાડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને લોન સંબંધિત કામગીરી પર અસર પડશે.

જો કે, ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે મોબાઇલ બેંકિંગ, નેટ બેંકિંગ, UPI, NEFT, RTGS અને ATM સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

શેરબજારની વાત કરીએ તો 26 જૂને મોહરમના કારણે NSE અને BSEમાં ટ્રેડિંગ નહીં થાય. ત્યારબાદ શનિવાર અને રવિવારની રજાને કારણે શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહેશે. જોકે MCXમાં સવારે ટ્રેડિંગ બંધ રહેશે, પરંતુ સાંજના સેશનમાં નિયમિત કારોબાર ચાલુ રહેશે. આથી, બેંક અથવા રોકાણ સંબંધિત કોઈ જરૂરી કામ હોય તો અગાઉથી આયોજન કરી લેવું વધુ યોગ્ય રહેશે.
Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
