Hit and Run : અકસ્માત કરીને ભાગ્યા તો ગયા સમજજો, હિટ એન્ડ રન કેસ કેટલી સજા થઈ શકે? જાણી લો
ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 હેઠળ હિટ એન્ડ રન કેસોમાં કડક જોગવાઈઓ આવી છે. હવે અકસ્માત બાદ ઘાયલને મદદ કર્યા વિના ભાગી જનાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી થશે. જાણો કેટલા વર્ષની સજા થઈ શકે છે...

માર્ગ અકસ્માત પછી સ્થળ પરથી ભાગી જવું હવે માત્ર બેદરકારી માનવામાં આવતું નથી. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ હિટ એન્ડ રન કેસોને લઈને કડક જોગવાઈઓ કરવામાં આવી છે. નવા કાયદા મુજબ અકસ્માત બાદ ઘાયલ વ્યક્તિને મદદ કર્યા વિના અથવા પોલીસને જાણ કર્યા વગર સ્થળ પરથી ફરાર થનારા ડ્રાઈવર સામે ગંભીર ગુનો નોંધાઈ શકે છે. આવા કેસમાં 10 વર્ષ સુધીની જેલ અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ભારતમાં દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ઘણા બનાવોમાં અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર વાહન રોકવાના બદલે સ્થળ પરથી ભાગી જાય છે, જેના કારણે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળતી નથી. આ પ્રકારના કેસોને સામાન્ય ભાષામાં 'હિટ એન્ડ રન' તરીકે ઓળખવામાં આવે છે. નવા કાયદાનો મુખ્ય હેતુ અકસ્માત બાદ ઘાયલને તાત્કાલિક મદદ મળે અને ડ્રાઈવર પોતાની કાનૂની જવાબદારીથી બચી ન શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) મુજબ, જો કોઈ ડ્રાઈવર અકસ્માત બાદ વાહન રોકે, ઘાયલ વ્યક્તિને મદદ કરે અને તરત જ પોલીસ અથવા સંબંધિત સત્તાધિકારીને જાણ કરે, તો બેદરકારીથી થયેલા મૃત્યુના કેસમાં તેને 5 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.

બીજી તરફ, જો ડ્રાઈવર અકસ્માત બાદ ઘાયલને મદદ કર્યા વગર અથવા પોલીસને જાણ કર્યા વગર સ્થળ પરથી ભાગી જાય, તો કલમ 106(2) લાગુ પડે છે. આ જોગવાઈ હેઠળ 10 વર્ષ સુધીની કેદ અને ભારે દંડ થઈ શકે છે. આ ગુનો ગંભીર સ્વરૂપનો હોવાથી કાયદાકીય કાર્યવાહી પણ વધુ કડક બની શકે છે.

નવા કાયદા મુજબ અકસ્માત બાદ ડ્રાઈવરની કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. તેમાં સૌથી પહેલાં ઘાયલ વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરવો, પોલીસ અથવા ઇમરજન્સી સેવાઓને તરત જાણ કરવી અને સમગ્ર તપાસ દરમિયાન તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં 'ગુડ સમેરિટન' (Good Samaritan) સિદ્ધાંતને મહત્વ આપ્યું છે. તેના અનુસાર માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરનાર નાગરિકને કાયદાકીય હેરાનગતિથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી લોકો નિર્ભયતાથી જરૂરિયાતમંદને મદદ કરી શકે. કાયદાની દૃષ્ટિએ અકસ્માત થવો અને અકસ્માત બાદ જાણબૂઝીને સ્થળ પરથી ભાગી જવું – બંને અલગ બાબતો છે. જો કોઈ ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ફરાર થઈ જાય, તો તેની સામે તપાસને પ્રભાવિત કરવાનો અથવા પુરાવા છુપાવવાનો આરોપ પણ લાગી શકે છે.

તેથી કોઈપણ માર્ગ અકસ્માત બાદ ગભરાઈને ભાગી જવાને બદલે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક મદદ કરવી, પોલીસને જાણ કરવી અને કાયદાનું પાલન કરવું માત્ર કાનૂની ફરજ જ નહીં, પરંતુ માનવતા પ્રત્યેની જવાબદારી પણ છે. આમ કરવાથી એક જીવન બચી શકે છે અને ડ્રાઈવર પોતે પણ વધુ ગંભીર કાનૂની મુશ્કેલીમાંથી બચી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે આપવામાં આવી છે.)
ગુસ્સામાં કોઈને ગાળ આપી કે ઝઘડા માટે ઉશ્કેર્યા ? જાણી લો કેટલી થઈ શકે છે ‘સજા’
