IPL 2025ના નવા શેડ્યૂલ પર મોટી અપડેટ, જાણો ક્યારે અને ક્યાં રમાશે બાકીની મેચો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે, BCCI આ લીગ ફરીથી શરૂ કરવા પર કામ કરી રહ્યું છે. જેના માટે નવું સમયપત્રક તેમજ સ્થળો નક્કી કરવામાં આવશે.

IPL 2025ની 18મી સિઝન 22 માર્ચથી 25 મે દરમિયાન રમવાની હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે આ લીગની 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી. ત્યારબાદ BCCIએ લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી.

જોકે, હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. આવી સ્થિતિમાં, BCCI ફરી એકવાર આ ટુર્નામેન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ આ વખતે શેડ્યૂલની સાથે સ્થળમાં પણ ફેરફાર થશે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI આજે રાત્રે (11 મે) સુધીમાં તમામ 10 ટીમોને લીગની બાકીની મેચોના નવા સમયપત્રક વિશે માહિતી આપી શકે છે. જેથી બધી ટીમો પોતાની તૈયારીઓ શરૂ કરી શકે અને ટીમોને એક જગ્યાએ એકત્રિત કરી શકે.

આ સાથે, લીગની તારીખ પણ લંબાવવામાં આવશે. એટલે કે 24 મેના બદલે, વર્તમાન સિઝનની અંતિમ મેચ હવે 30 મેના રોજ રમાશે. આ ઉપરાંત, નવા શેડ્યૂલમાં વધુ ડબલ હેડરનો સમાવેશ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે લીગની બાકીની મેચો ફક્ત બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં જ રમાશે.

અહેવાલો અનુસાર, BCCIએ IPL ટીમોને મંગળવાર સુધીમાં ભેગા થવા માટે સૂચના આપી છે. વાસ્તવમાં, મોટાભાગના વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં, તમામ દસ ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને ભારત પાછા બોલાવવાનો પ્રયાસ કરી રહી છે.

લીગ સ્થગિત થયા પછી વિદેશી ખેલાડીઓ શુક્રવાર અને શનિવારની વચ્ચે ભારત છોડીને ગયા હતા. જોકે, બધી ટીમો માટે સૌથી મોટી ચિંતા એ છે કે તેમના વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવશે કે નહીં.

8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જમ્મુ અને પઠાણકોટમાં હવાઈ હુમલાની ચેતવણી બાદ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પરંતુ બંને ટીમો વચ્ચે પોઈન્ટ વહેંચવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં, BCCI આ મેચ અંગે પણ નિર્ણય લેશે.

એવું માનવામાં આવે છે કે આ મેચ ફરીથી શેડ્યૂલ કરી શકાય છે અથવા રમત જ્યાંથી બંધ થઈ હતી ત્યાંથી ફરી શરૂ કરી શકાય છે. મેચ બંધ થઈ તે પહેલા, પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા હતા, જેમાં પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યએ 34 બોલમાં 70 રનની તોફાની ઈનિંગ રમી હતી અને પ્રભસિમરન સિંહ 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. (All Photo Credit : PTI)
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા IPL અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, જોકે યુદ્ધવિરામની જાહેરાત બાદ BCCI નવા શેડ્યૂલની જાહેરાત કરશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































