IND vs NZ: રોહિત શર્માનો 9 વર્ષ જૂનો ‘ઘા’ તાજો થયો, ભારતીય કેપ્ટન સાથે શું થયું?
પુણે ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયા માટે એકંદરે સારો રહ્યો હતો. જ્યાં એક તરફ સ્પિનરોએ ન્યુઝીલેન્ડને પ્રથમ દાવમાં માત્ર 259 રનમાં ઓલઆઉટ કરી સારી શરૂઆત અપાવી હતી, તો બીજી તરફ દિવસના અંત પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પણ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો અને રોહિત શર્માનો 9 વર્ષ જૂનો ઘા પણ તાજો થયો હતો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડને માત્ર 259 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વોશિંગ્ટન સુંદરે 7 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી.

જોકે, ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 16 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન રોહિત શર્માની વિકેટ પણ ગુમાવી હતી. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ અણનમ પરત ફર્યા હતા.

વોશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિને કેપ્ટન રોહિત શર્માને તેમના પ્રદર્શનથી ખુશ કરી દીધો હતો, પરંતુ રોહિત પોતે કંઈ ન કરી શક્યો અને તેનો 9 વર્ષ જૂનો ઘા ફરી તાજો થયો હતો.

રોહિત શર્માને ઈનિંગની ત્રીજી ઓવરમાં જ ન્યુઝીલેન્ડના અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. રોહિતે માત્ર 9 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તે એકપણ રન ન બનાવી શક્યો. સાઉથીના બોલને રમવામાં રોહિત નિષ્ફળ રહ્યો અને 0 રને ક્લીન બોલ્ડ થયો હતો.

આ સાથે 9 વર્ષ બાદ રોહિત શર્મા ભારતીય ધરતી પર ટેસ્ટ મેચમાં 0 રને આઉટ થયો હતો. અગાઉ 2015માં તે નવી દિલ્હી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 0 રને આઉટ થયો હતો. તેને ઝડપી બોલર મોર્ને મોર્કેલ દ્વારા બોલ્ડ કર્યો હતો, જે હાલમાં ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ છે. (All Photo Credit : PTI / AFP)
