ગીરસોમનાથ કાર્તિકી પૂર્ણિમાએ રચાયો અદ્દભૂત અમૃત વર્ષા યોગ- જુઓ તસ્વીરો
ગીરસોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાએ મધ રાત્રિએ અદ્દભૂત અમૃત વર્ષા યોગ રચાયો હતો. જેમા સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે સોમનાથ અમૃત વર્ષા સંયોગ સર્જાય છે.


કરોડો હિંદુઓ અને શિવભક્તોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રિના 12 કલાકે અદ્દભૂત ખગોળિય સંયોગ રચાય છે.

વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

એવી માન્યતા છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્ર પોતે આવે છે અને પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે. આ સંયોગ અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાય છે.

એવુ પણ કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ સોમનાથ મહાદેવને પોતાની ચાંદનીથી અભિષેક કરવા માટે આવે છે ત્યારે આ અમૃતવર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ચંદ્રની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે.

અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભૂત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગ્યે મહાપૂજા કરવામાં આવી. પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. હર-હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતુ.

































































