ઘરમાં ઉંદરોથી પરેશાન છો? તો પછી લગાવો આ 5 ખાસ છોડ, આની સુગંધથી ઉંદરો ઊભી પૂંછડીએ ભાગશે
ઘરમાં ઉંદરોનું આવવું સામાન્ય વાત છે પરંતુ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે આ ઉંદરો ઘરને પોતાનું કાયમી ઠેકાણું બનાવી લે છે. ઉંદરો એ સાપનો પ્રિય ખોરાક છે, તેથી ઉંદરોની શોધમાં સાપ પણ ઘર સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, ઘરમાંથી ઉંદરોની સમસ્યાને વહેલી તકે દૂર કરવી ખૂબ જરૂરી છે.

જો તમે ઉંદરોને મારવા માટે 'કેમિકલ' કે 'રેટ કિલ' (Rat Kill) નો ઉપયોગ કરવા ન માંગતા હોવ, તો કેટલાક ખાસ છોડની મદદથી તમે ઉંદરોને ઘરેથી ભગાવી શકો છો. ઘણા એવા છોડ હોય છે કે, જેની તીવ્ર અને તીખી સુગંધ ઉંદરોને જરાય પસંદ નથી હોતી. ઘરમાં કુંડામાં લગાવી શકાય તેવા આ છોડ કુદરતી રીતે ઉંદરોને ઘર અને બગીચાથી દૂર રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ફુદીનાની (Peppermint) તીવ્ર મેન્થોલવાળી સુગંધ ઉંદરોને અસ્વસ્થ કરે છે, તેથી તેઓ તેની આસપાસ આવવાનું ટાળે છે. લેવેન્ડર (Lavender) પણ એક એવો છોડ છે કે, જેની સુગંધ માણસોને શાંતિ આપે છે પરંતુ ઉંદરો માટે આ ગંધ પરેશાન કરનારી હોય છે. ઘણા લોકો ઘરના ખૂણા કે બારીઓ પાસે લેવેન્ડર લગાવે છે, જેથી ઉંદરો દૂર રહે.

ગલગોટાનો (Marigold) છોડ પણ કુદરતી 'રિપેલન્ટ' તરીકે કામ કરે છે. આની તીખી ગંધ માત્ર ઉંદરોને જ નહીં પરંતુ ઘણા જીવજંતુઓને પણ દૂર રાખે છે. રોઝમેરી અને અજમો (Ajwain) જેવા હર્બ્સની તીવ્ર સુગંધ ઉંદરોની સુંઘવાની ક્ષમતાને અસર કરે છે. ઉંદરો પોતાની સુંઘવાની શક્તિ પર ઘણો આધાર રાખતા હોય છે, તેથી આવી ગંધ તેમને અસુરક્ષિત અનુભવ કરાવે છે.

ડેફોડિલ (Daffodil) પણ ઉંદરોને દૂર રાખવામાં ઉપયોગી માનવામાં આવે છે. આમાં એવા કેટલાક કુદરતી તત્વો હોય છે કે, જે ઉંદરોને પસંદ નથી હોતા. આ સિવાય લેમનગ્રાસ અને નીલગિરી (Eucalyptus) જેવા છોડ પણ પોતાની તેજ સુગંધને કારણે ઉંદરોને ઘરથી દૂર રાખવામાં મદદ કરે છે.

બસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, માત્ર છોડ લગાવવાથી જ સમસ્યા પૂરી રીતે ખતમ નથી થતી. ઘર અને બગીચાની સાફ-સફાઈ પણ અત્યંત જરૂરી છે. ખુલ્લામાં રાખેલું ખાવાનું, કચરો અને ગંદકી ઉંદરોને આકર્ષે છે. આથી ઘરના એન્ટ્રી પોઈન્ટ્સ બંધ રાખવા, કચરાપેટી ઢાંકીને રાખવી અને નિયમિત સફાઈ કરવી પણ અનિવાર્ય છે.
રસોડામાં છુપાયેલી આ એક ‘નાનકડી વસ્તુ’ છે ‘સ્વાસ્થ્યનો ખજાનો’, રાત્રે તેનો ઉપયોગ કરવાના ફાયદા જાણીને ચોંકી જશો
